કેસીઆરને નાયબ વડાપ્રધાન બનવું છે
ડાબેરી નેતાઓને મળી વિપક્ષી ગઠબંધનને ટેકા માટે શરત રાખીઃ જો ખાત્રી મળશે તો જ ર૧મીની બેઠકમાં ભાગ લેશે
નવી દિલ્હી, તા. ૧૧ : તેલંગણાના મુખ્યમંત્રી અને ટીઆરએસના સુપ્રિમો કેસીઆર ર૩મીએ ચૂંટણી પરિણામો બાદ જો કોઇ ઘટકને પૂર્ણ બહુમતી ન મળે તો તેઓ બીન ભાજપ ગઠબંધનનો હિસ્સો બનવા માટે તૈયાર છે એટલુ જ નહિ આ માટે સક્રિય ભૂમિકા ભાજવવા માટે પણ તૈયાર છે. આ માટે તેમની શરત એટલી છે કે તેમને વિપક્ષી ગઠબંધન નાયબ વડાપ્રધાન તરીકે પ્રોજેકટ કરે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની અચાનક સક્રિયતા આ મુદે છે જો તેમને નાયબ વડાપ્રધાન પદનો ભરોસો અપાશે તો જ તેઓ ર૧મીએ દિલ્હીમાં મળનાર વિપક્ષોની બેઠકમાં હાજર રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેસીઆરએ આ અંગે ડાબેરી નેતાઓ સાથે વાત કરી તેમને બીજા વિપક્ષોને સમજાવવા પણ કહ્યું છે. સૂત્રો કહે છે કે કોંગ્રેસ સુધી પણ વાત પહોંચાડવામાં આવી છે. કોંગ્રેસે જો કે આ મુદે અત્યારે કોઇ ચર્ચા ન કરવા સંકેતો આપ્યા છે. પરિણામો બાદ જ વાતચીત થશે. કેસીઆર એ એવો પણ સંકેત આપ્યો છે કે તેઓ એનડીએ સાથે નહિ જાય. સૂત્રો કહે છે કે તેઓ ખુદને રાષ્ટ્રીય રાજનીતિમાં લાવી પુત્રને તેલંગણાની કમાન સોંપવા માંગે છે.
દરમ્યાન ચંદ્રાબાબુ નાયડુ ગઇકાલે મમતાને મળ્યા હતાં અને ૧પ મીનીટ ચર્ચા કરી હતી. બંનેએ મહાગઠબંધન અંગે ચર્ચા કરી હતી.