મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

જો ત્રિશંકુ સંસદની નોબત આવી તો

આ ત્રિપુટી કિંગમેકરની ભૂમિકામાં હશે

નવી દિલ્હી તા. ૧૧ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પાંચ તબક્કાનું મતદાન થઇ ગયું છે, જયારે છઠ્ઠા તબક્કાનો પ્રચાર પણ થોભી ગયો છે. જે રીતે વિપક્ષી દળ આશ્વસ્ત દેખાઇ રહ્યું છે, તેને જોતા રાજકીય નિષ્ણાતો દાવો કરવા લાગ્યા છે કે કોઇ એક પાર્ટીને આ ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતી મળવાની નથી. જો આ ભવિષ્યવાણી સાચી સાબિત થઇ તો કેન્દ્રમાં સરકારની રચનાને લઇ દેશના ત્રણ અલગ-અલગ રાજયોના ત્રણ મોટા નેતા કિંગમેકર સાબિત થઇ શકે છે.

જો વાત કરીએ ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજેડી પ્રમુખ નવીન પટનાયક, તેલંગાણાના સીએમ અને ટીઆરએસ પ્રમુખ કેસીઆર અને વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી આ ત્રણ નેતાઓએ પોતાનો ઇરાદો જાહેર કર્યો નથી. એવામાં આ ત્રણેય પક્ષની તિકડી પર બધાની નજર હશે.

ઓરિસ્સામાં ૨૧, આંધ્રપ્રદેશમાં ૨૫ અને તેલંગાણામાં ૧૭ સીટો છે. આ જ રીતે આ ત્રણેય રાજયોમાંથી કુલ મળીને ૬૩ સાંસદ લોકસભા પહોંચ્યા છે. આ વખતે ચૂંટણીમાં ઓરિસ્સામાં બીજેડી, આંધ્રપ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસ અને તેલંગાણામાં ટીઆરએસ એકલું ચૂંટણી લડી રહ્યું છે. કહેવાય છે કે આ ત્રણેય રાજયોની મોટાભાગની સીટો પર આ ત્રણેય પક્ષનો કબ્જો રહેશે. એવામાં પરિણામો પર આ ત્રણેય તિકડી સત્તાનું કિસ્મત નક્કી કરવામાં કિંગમેકરની બૂમિકા નિભાવી શકે છે.

૨૦૧૪ની ચૂંટણીના પરિણામ જોઇએ તો બીજેડી ૨૦, વાઇએસઆર કોંગ્રેસ ૯ તો ટીઆરએસ ૧૧ સીટો જીતવામાં સફળ રહી હતી. એટલે કે ત્રણેય પક્ષો એ કુલ ૬૩માંથી ૪૦ સીટો જીતી હતી. આ વખતે ચૂંટણીમાં ટીઆરએસ એ તેલંગાણામાં તો વાઇએસઆર કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં પોતાનો જનાધાર વધાર્યો છે, ત્યાં ઓરિસ્સામાં બીજેડીની સ્થિતિ કોમબેશ એ જ બનેલી છે.

જગન મોહન રેડ્ડી

આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને જગન મોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસની વચ્ચે સીધો મુકાબલો છે. રાજયમાં બંને પાર્ટીઓ કોઇપણ પ્રકારના ગઠબંધન વગર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે કોંગ્રેસ અને ભાજપ પણ અહીં ચૂંટણી લડી રહ્યું છે પરંતુ મુખ્ય લડાઇ જગન રેડ્ડી અને નાયડુની વચ્ચે મનાય છે. રાજયની ૨૫ લોકસભા અને ૧૭૫ વિધાનસભા સીટો પર પહેલાં તબક્કામાં ૧૧ એપ્રિલના રોજ વોટિંગ કરાયું હતું.

એનડીએથી અલગ થયા બાદ ચંદ્રબાબુ નાયડુ સતત મોદીની વિરૂદ્ઘ વિપક્ષી દળોને એકજૂથ કરવાનું બીડું ઉઠાવ્યું છે. જગન મોહન રેડ્ડીની ટીડીપીથી રાજકીય લડાઇ છે. એવામાં બંને એક જ ખેમામાં રહે તે મુશ્કેલ છે. નાયડુ જે રીતે કોંગ્રેસની નજીક જઇ રહ્યા છે જેને જોતા જગન મોહન બીજા પક્ષમાં જોડાઇ શકે છે. જો કે જગને સ્પષ્ટ કહી દીધું છે કે જે પાર્ટી આંધ્રપ્રદેશને ખાસ રાજયનો દરજ્જો આપશે તેને તેઓ સમર્થન આપશે.

નવીન પટનાયક

ઓરિસ્સામાં નવીન પટનાયકની બીજેડી એકલી ચૂંટણી મેદાનમાં છે. અહીં બીજેડીનો મુકાબલો બીજેપી અને કોંગ્રેસ બંનેથી છે. બીજેડીએ પોતાના ગઠનથી લઇ હજુ સુધી કોંગ્રેસને કયારેય સમર્થન કર્યું નથી જયારે ભાજપની સાથે મળી તેઓ ચૂંટણી લડી ચૂકયા છે અને સરકારમાં પણ બંને પાર્ટીઓ સાથે રહી ચૂકી છે. ૨૦૦૯ બાદથી બીજેડી એકલી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. બીજેડીએ ભાજપથી પણ એટલું જ અંતર બનાવી રાખ્યું છે જેટલું તે કોંગ્રેસથી રાખી રહી છે. ૨૦૧૪મી લોકસભા ચૂંટણીમાં ઓરિસ્સાની ૨૧માંથી ૨૦ સીટો બીજેડી જીતવામાં સફળ રહી હતી. મોદી સરકારે કેટલાંય મોકા પર પટનાયકની સાથે ઉભા દેખાયા છે. જો કે આ વખતે ઓરિસ્સામાં બીજેડીની વિરૂદ્ઘ મજબૂતીથી ભાજપ ચૂંટણી લડી રહ્યું છે. કહેવાય છે કે પટનાયક કોંગ્રેસ અને ભાજપથી સમાન અંતર બનાવી રાખવાની નીતિ પર કાયમ રહી શકે છે. તેમ છતાંય જે પાર્ટીની કેન્દ્રમાં સરકાર બનવાની સંભાવના હશે અને એ પાર્ટીની સાથે ઉભા રહેતા દેખાય તે તેમના માટે ફાયદાકારક રહેશે.

કે. ચંદ્રશેખર રાવ

તેલંગાણામાં કે.ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસ એકલી ચૂંટણી મેદાનમાં છે, જેનો ભાજપ અને કોંગ્રેસ સાથે સીધો મુકાબલો છે. પાંચ તબક્કાના વોટિંગ બાદ કેસીઆર બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી સરકારની રચનાની કવાયદમાં લાગી ગયા છે. તેમણે કેરળના મુખ્યમંત્રી અને માકપા નેતા પિનરઇ વિજયન સાથે મુલાકાત કરીને રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી છે. તેલંગાણાની ૧૭ લોકસભા સીટો છે. તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જોતા લાગે છે કે તેલંગાણાની લોકસભા સીટો પર કેસીઆરનો જાદુ માથા પર ચઢીને બોલી શકે છે. આ જ રીતે જો કોઇપણ પક્ષને બહુમતી મળતી નથી તો કેસીઆર કિંગમેકરની ભૂમિકામાં હશે. પટનાયક અને જગનની જેમ કેસીઆર ખુલ્લો વિકલ્પ રાખશે.

(10:09 am IST)