આ તહેવાર કોરોના સામે બીજા મોટા યુદ્ધની શરૂઆત : વડા પ્રધાન નરેન્દ્ર મોદી
આજથી દેશમાં ટીકા ઉત્સવ શરૂ થયો : જે ઓછું ભણેલા, વૃદ્ધ છે તેમની મદદ કરો, જે લોકો પાસે એટલા સાધન નથી, જાણકારી નથી તેમની કોરોનાની સારવારમાં મદદ કરો : વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી,તા.૧૧ : કોરોના વાયરસ સામેના યુદ્ધને વધારે ગતિમાં લાવવા માટે દેશભરમાં આજથી 'ટીકા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. પીએમ મોદીએ આ પ્રસંગે એક લેખ લખીને કહ્યું, આજે ૧૧ એપ્રિલના રોજ જ્યોતિબા ફૂલે જયંતિથી અમે ટીકા ઉત્સવ'ની શરૂઆત કરી રહ્યા છીએ. આ 'ટીકા ઉત્સવ' ૧૪ એપ્રિલ સુધી એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતી સુધી ચાલશે. પીએમ મોદીએ કહ્યું કે, આ તહેવાર એક રીતે કોરોના સામે બીજા મોટા યુદ્ધની શરૂઆત છે. આમાં આપણે સામાજિક સ્વચ્છતાની સાથે અંગત સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવો પડશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આપણે આ ચાર બાબતોને યાદ રાખવાની છે. પીએમ મોદીએ ભારતીયોને અપીલ કરતાં કહ્યું કે, આપણે ચાર વાતો યાદ રાખવાની છે જે લોકો ઓછું ભણેલા છે અથવા વૃદ્ધ છે અને પોતે ડોઝ લઈ શકે તેમ નથી, તેમની મદદ કરો. જે લોકો પાસે એટલા સાધન નથી અને જાણકારી નથી તેમની કોરોનાની સારવારમાં મદદ કરો.
આપણે સ્વયં માસ્ક પહેરીએ અને ખુદને તથા બીજાને પણ બચાવીએ. ચોથી મહત્વની વાત એ છે કે, કોરોના વાયરસની સ્થિતિમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવાનું નેતૃત્વ સમાજના લોકો જ કરે. જે જગ્યા પર કોરોના વાયરસ પોઝિટિવ કેસ આવે ત્યાં પરિવારના લોકો જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવે મહત્તવનું છે કે, કોવિડ -૧૯ની પરિસ્થિતિ અને મુખ્યમંત્રી સાથે રસીકરણ અભિયાનની સમીક્ષા દરમિયાન વડા પ્રધાન મોદીએ 'ટીકા ઉત્સવ'ની વાત કરી હતી. તેમણે અપીલ કરી છે કે, ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કેટલીકવાર આનાથી વાતાવરણને બદલવામાં મદદ કરે છે. જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ ૧૧ એપ્રિલે છે અને ૧૪ એપ્રિલે તે બાબા સાહેબની જન્મજયંતિ છે. શું આપણે 'ટીકા ઉત્સવનું આયોજન કરીએ અને ટીકા ઉત્સવનું વાતાવરણ બનાવી શકીએ?