અમેરિકા દ્વારા વોશિંગ્ટન ડીસીમાં તૈનાત તમામ પાકિસ્તાની રાજદ્વારીઓ પર પ્રતિબંધ લગાવાયો
નવી દિલ્હી ;તાજેતરમાં પાકિસ્તાનમાં સ્થિત અમેરિકી દૂતાવાસના એક અધિકારીની કારની અડફેટે બે બાઈક સવારોને ટક્કર મારી દીધી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજો ઘાયલ થયો હતો. આ મામલે પાકિસ્તાનની સરકારે અમેરિકાના રાજદ્વારીને દેશની બહાર જવા પર પ્રતિબંધ લગાવી અમેરિકી અધિકારીનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL)માં શામેલ કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે.ત્યારે અમેરિકાએ પણ વળતો પ્રહાર કર્યો છે પાકિસ્તાનના જાણીતા પત્રકાર નુસરત જાવેદે દાવો કર્યો છે કે, અમેરિકાએ વોશિંગ્ટન ડીસીમાં તૈનાત તમામ પાકિસ્તાની રાજદ્વારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
જાવેદે દાવો કર્યો છે કે, કોઈ પણ રાજદ્વારીને 25 કિલોમીટરની પરિધથી બહાર જવાની મંજૂરી નથી. આ આદેશ 1મે થી અનિવાર્ય બનશે. જાવેદે કહ્યું હતું કે, સામાન્ય રીતે અમેરિકા આ પ્રકારના પ્રતિબંધ એવા જ દેશો પર લગાવે છે જેને તે નફરત કરે છે. જોકે અમેરિકાએ જાસૂસને ઝેર આપવાના મામલે રશિયા પર આ પ્રકારના પ્રતિબંધ નથી લગાવ્યા.
તાજેતરમાં જ પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસમાં તૈનાત ડિફેંસ અધિકારી કર્નલ જોસેફ ઈમૈન્યુલ હોલની ગાડીનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પાકિસ્તાની બાઈક સવાર હડફેટે આવી ગયાં હતાં. ત્યાર બાદ પાકિસ્તાને કાર્યવાહી કરતા અમેરિકાના રાજદૂતને સમન પાઠવ્યું હતું અને ઔપચારીક વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાને અમેરિકી અધિકારી કર્નલ જોસેફ ઈમૈન્યુલ હોલને પાકિસ્તાન છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અગાઉ 2011માં 2 પાકિસ્તાની નાગરિકોની હત્યાના આરોપમાં અમેરિકાના ગુપ્તચર અધિકારી રેમંડ ડેવિસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને દેશોમાં રાજનયિક વિવાદ ઉભો થયો હતો. જોકે આ વખતે કર્નલ જોસેફ ઈમૈન્યુલ હોલની અટકાયત કરવામાં આવી નથી.