સોશિયલ મીડિયા પર ચૂંટણીપંચની બહુ નજર રહેશે : ઉમેદવારોએ સોશિયલ મીડિયા એકાઉન્ટનો અહેવાલ પંચને આપવો પડશે
નવી દિલ્હી : ગત્ત લોકસભા ચૂંટણીની તુલનાએ આ વખતની ચૂંટણીમાં ઘણા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. આ વખતે 100 ટકા ઇવીએમમાં વીવીપેટની સુવિધા રહેશે જેથી વોટર જાણી શકશે કે તેમનો મત યોગ્ય સ્થાન પર ગયો છે કે નહી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પંચ પર કડક નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યું કે, તમામ ઉમેદવારોને પોતાનું ઉમેદવારી પત્ર ભરતા સમયે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટનો અહેવાલ પંચને સોંપવો પડશે.
ચૂંટણી પંચે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલ તમામ રાજનીતિક જાહેરાતો માટે પહેલાથી મંજુરી લેવી પડશે. એટલું જ નહી ચૂંટણી પંચે ગુગલ, ફેસબુક, ટ્વીટર અને યુટ્યુબથી રાજનીતિક દળોને મળનારી જાહેરાતોનું વેરિફિકેશન કરવા માટે કહ્યું છે. અસલમાં તેના થકી ચૂંટણી પંચ કોઇ પણ પ્રકારનાં પ્રોપેગેંડા મેટિરિયલ પર પ્રતિબંધ લગાવા માંગે છે.
એટલું જ નહી સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ્સ પર અપાયેલી જાહેરાતો અંગેની ફરિયાદોની સુનવણી માટે એક અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવશે. અરોડાએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર બહાર પડાયેલી જાહેરાતોના ખર્ચને ઉમેદવારોનાં કુલ ખર્ચમાં જોડવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓએ ચૂંટણી દરમિયાન હેટ સ્પીચ જેવી સામગ્રીઓ પર પ્રતિબંધનું આશ્વાસન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ચૂંટણી પંચે સુરક્ષા કર્મચારીઓની તસ્વીરોને પ્રચાર સામગ્રીમાં ઉપયોગ નહી કરવાની સલાહ આપી છે. ગત્ત દિવસોમાં એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનની તસ્વીર પર એક હોર્ડિંગનાં ઉપયોગ કરવામાં આવ્યા બાદ આ સલાહ આપી છે.