મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

દલાલી ખાનારાઓની ખેર નથીઃ એક પછી એકનો વારો આવી રહ્યો છેઃ નરેન્દ્રભાઈ

દેશમાં કર્ણાટક જેવી મજબૂર સરકાર ઈચ્છે છે કોંગ્રેસ :જે લોકો છે ભ્રષ્ટ એમને છે મોદીથી કષ્ટ

નવી દિલ્હી, તા. ૧૧ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દક્ષિણના ત્રણ રાજ્યોના પ્રવાસે હતા. તેમણે આંધ્ર પ્રદેશના ગંટુર, તમિલનાડુના તિરૂપુર અને કર્ણાટકના હુબલીમાં જનસભાઓને સંબોધીત કરી હતી.

હુબલીમાં પોતાની રેલી દરમ્યાન વડાપ્રધાને કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારને મજબુર સરકાર ગણાવી હતી. તેમણે લોકોને કેન્દ્રમાં ફરી એકવાર મજબુત સરકાર બનાવવાની અપીલ કરી હતી. વિપક્ષો પર હુમલો કરતા તેમણે કહ્યું કે આ લોકો કર્ણાટકની મજબૂર સરકારના આ મોડલને આ લોકો દેશ પર ઠોકી બેસાડવા માગે છે જેથી સરકારનો નેતા ખૂણામાં રોતો રહે અને નિર્ણયો નામદારના મહેલમાં લેવાતા રહે. વડાપ્રધાનનો ઈશારો રાહુલ ગાંધી તરફ હતો.

પોતાના પ્રવચનમાં તેમણે મહાગઠબંધનના નેતાઓ પર નિશાન તાકતા કહ્યું હતું કે જેણે પણ દલાલી ખાધી છે. તેમનો વારો એક પછી એક આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે તમે ફેરફાર તો જુઓ. જેમની કયારેય પૂછપરછ નહોતી થઈ શકતી તેઓ હવે તેમણે કરેલી લૂંટનો હિસાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આપનો આ પ્રધાન સેવક વચેટીયાઓને રસ્તામાંથી દૂર કરી રહ્યો છે. ઈમાનદારોને મોદી પર ભરોસો છે અને જે ભ્રષ્ટ છે તેમને જ મોદીથી કષ્ટ છે. તમે જોઈ જ રહ્યા છો કે દિલ્હીમાં કેવા કેવા લોકોનો વારો આવી રહ્યો છે. જેમની કમાણી વિશે વાત કરતા લોકો ડરતા હતા. તેઓ આજે એજન્સીઓની સામે દેશ વિદેશમાં બેનામી સંપત્તિના જવાબો આપી રહ્યા છે.

સભાને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે વિકાસની નદીની પાંચ ધારાઓ છે, સરકાર તેના પર આગળ વધી રહી છે.

ગંટુર રેલીમાં વડાપ્રધાને કહ્યું કે આગલી સરકાર જે ઝડપથી ઘર બનાવી રહી હતી તે પ્રમાણે જો ગણીએ તો અમે ૫૫ મહિનામાં જેટલા મકાનો બનાવ્યા તેટલા બનાવવામાં તેમને ૪૦ - ૫૦ વર્ષો લાગી જાત. દેશના ઈતિહાસમાં પહેલીવાર ૫ લાખની આવકને આવકવેરામાંથી બાકાત કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે માસિક ૩૦૦૦નું પેન્શન આપવાનું પણ આ સરકારે નક્કી કર્યુ છે.

વિકાસની પાંચ ધારાઓ

(૧) બાળકોને શિક્ષણ

(૨) યુવાઓને કમાણી

(૩) વડીલોને દવાઓ

(૪) ખેડૂતોને સિંચાઈ

(૫) લોકોને સાંભળવા

જે વિઝન પર અમારી સરકાર કામ કરી રહી છેઃ નરેન્દ્રભાઈ

(3:35 pm IST)