મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

મનમોહન સરકાર વખતે રાહુલ માત્ર સાંસદ હતા છતાં સરકારી કામકાજમાં ચંચૂપાત કરતા

પૂર્વ વિદેશ મંત્રી કૃષ્ણાનો ધડાકો : મનમોહન પીએમ હતા છતાં નિર્ણયો તેમની જાણ બહાર લેવાતાઃ રાહુલને કેબિનેટે પસાર કરેલ પ્રસ્તાવની કોપી ફાડવાનો અધિકાર મળ્યો હતો

નવી દિલ્હી તા. ૧૧ : યૂપીએની મનમોહન સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલ કોંગ્રેસના પૂર્વે નેતા એસએમ કૃષ્ણાએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ પર આરોપ લગાવતા જણાવ્યું કે, મારા કાર્યકાળ દરમિયાન રાહુલ ગાંધી માત્ર સાંસદ હતા. તેમની પાસે પાર્ટીમાં કોઇ પદ ન હોવા છતા સરકારના કામકાજમાં તેમની દખલગીરી રહેતી હતી. જેના કારણે મારે યૂપીએ સરકાર અને કોંગ્રેસથી અલગ થવું પડ્યું હતું. નોંધનીય બાબત છે કે, પાછળથી એસએમ કૃષ્ણા બીજેપી સાથે જોડાયા હતા. 

એસએમ કૃષ્ણાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા હતા કે, મારા સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં પૂર્વ પીએમ મનમોહન સિંહે કોઇ ટિપ્પણી નહતી કરી, પરંતુ રાહુલ ગાંધી સતત દખલ કરી રહ્યા હતા. જેના કારણે મેં પદ અને કોંગ્રેસ બંને સાથે છેડો ફાડ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, યૂપીએ સરકારમાં મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા પરંતુ મોટાભાગના નિર્ણયો તેમની જાણકારી બહાર લેવામાં આવતા હતા.

 તેમણે આરોપ લગાવ્યો હતો કે, ૨૦૦૯થી ૨૦૧૪ વચ્ચે પ્રધાનમંત્રી પાસે કોઇ નિયત્રંણ અધિકાર ન હતા. સરકાર અને પાર્ટીમાં રાહુલ ગાંધીનો અંકુશ હતો. અહીં સુધી કે રાહુલ ગાંધીને કેબિનેટ દ્વારા પસાર પ્રસ્તાવની કોપીને ફાડવાનો અધિકાર પણ મળ્યો હતો. જેને 'વધારે પડતો બંધારણીય અધિકારી' કહેવાય છે. 

 બીજી તરફ કોંગ્રેસ નેતા દિનેશ ગુંડૂ રાવે કૃષ્ણાના આરોપો સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રાહુલ ગાંધી માટે તેમના નિવેદનો સાંભળ્યા પછી તેમના પ્રત્યેનું સન્માન સમાપ્ત થઇ ચૂકયુ છે. તેમના આ પ્રકારના આરોપોથી કોંગ્રસને કોઇ નુકસાન નથી થવાનું.(૨૧.૪)

(9:35 am IST)