પ્રજાસત્તાક સમારોહમાં વિદેશી મહેમાનને આમંત્રણ ન અપાયા
મહામારીને લીધે પ્રજાસત્તાક દિનનો સમારોહ ફિક્કો રહેશે : ૫૦ વર્ષમાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કોઇ વિદેશી મહેમાન નહીં હોય
નવી દિલ્હી, તા.૧૧ : કોરોના મહામારી વચ્ચે આવી રહેલા ૭૨માં પ્રજાસત્તાક દિવસના સમારોહમાં પહેલીવાર કોઇ વિદેશી મહેમાનને આમંત્રણ ન આપવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલા કોરોના સંક્રમણના નવા સ્ટ્રેનની ઓળખ થતા અને તેના સંક્રમણનો ખતરો વધી જતાં બ્રિટનના પીએમ બોરિસ જોનસને ભારતીય પ્રજાસત્તાક દિવસ સમારોહમાં હાજર ન રહેવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.
વિતેલા ૫૦ વર્ષમાં પહેલો એવો પ્રજાસત્તાક દિવસ સમારોહ યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે કોઇ વિદેશી મહેમાન નહીં હોય. વર્ષ ૧૯૬૬માં પ્રજાસત્તાક દિવસ સમારોહની પરેડમાં કોઇ વિદેશી અતિથિ સામેલ થયા ન હતા, એ સમયે ૧૧ જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક નિધન પછી ૨૪ જાન્યુઆરીએ ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા.
આ સિવાય ૧૯૫૨ અને ૧૯૫૩માં પણ ભારતીય પ્રજાસત્તાક દિવસ સમારોહમાં કોઇ વિદેશી અતિથિ સામેલ થયા ન હતા.
આ મુદ્દે એક અધિકારીનું કહેવુ હતું કે યૂકે કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા કેસોને જોતાં પીએમ બોરિસ જોનસને સમારોહમાં હાજર રહેવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. હવે અન્ય કોઇ વિદેશી નેતા ભારતનું આમંત્રણ સ્વીકાર કરે છે તો તેના પોતાના દેશમાં એવી છબી ઉભી થઇ શકે છે કે તેઓને બ્રિટન પીએમની ખાલી જગ્યા ભરવા માટે ભારત બોલાવવામાં આવ્યા.
આ સિવાય પણ કેન્દ્ર સરકારે ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ૭૨માં પ્રજાસત્તાક દિવસની પરેડ અને સમારોહમાં મહત્વના ફેરફારો કર્યા હતા.