મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

૧ એપ્રિલથી ૧૨ કલાક કરવુ પડશે કામઃ PF અને નિવૃતિના નિયમો પણ બદલાશે

વર્ષે સંસદમાં પાસ થયેલા ૩ મજૂરી બિલને ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે

નવી દિલ્‍હી, તા.૧૧: આગામી પહેલી એપ્રિલથી કામકાજના કલાકો વધવાની સાથે, પ્રોવિડન્‍ટ ફંડ, ગ્રેજયુઈટી અને નિવૃતિના વર્તમાન નિયમોમાં ફેરફાર થઈ રહ્યાં છે. ૧ એપ્રિલ, ૨૦૨૧ થી, તમારી ગ્રેજયુઈટી પ્રોવિડન્‍ટ ફંડ (PF) અને કામના કલાકોમાં મોટો ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓને gratuity અને પ્રોવિડન્‍ટ ફંડ ( PF) માં વધારો મળશે. જયારે હાથમાં આવતુ વેતન ઘટશે જેનાથી કંપનીઓની બેલેન્‍સ શીટ પણ પ્રભાવિત થશે, ગત વર્ષે સંસદમાં પાસ થયેલા ૩ મજૂરી બિલને ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે, વેતન એ કુલ સેલેરીના ૫૦ ટકા હશે, દેશમાં ૭૩ વર્ષમાં પહેલી વાર મજૂરી કાયદામાં બદલાવ કરવામાં આવ્‍યો છે, જોકે સરકારનો દાવો છે કે આ કાયદાથી Employer અને Employee બંનેને ફાયદો થશે.

નવા નિયમ મુજબ, મૂળ પગાર કુલ પગારના ૫૦% અથવા વધુ હોવો જોઈએ. આ કાયદો મોટાભાગના કર્મચારીઓની પગારની સંરચનામાં પરિવર્તન લાવશે, કારણ કે પગારનો બિન-ભથ્‍થું ભાગ સામાન્‍ય રીતે કુલ પગારના ૫૦ ટકા કરતા ઓછો હોય છે. જયારે કુલ પગારમાં ભથ્‍થાંનો હિસ્‍સો હજી વધુ થવો જોઇએ. મૂળભૂત પગારમાં વધારો એ તમારા પીએફમાં પણ વધારો કરશે. પીએફ મૂળભૂત પગાર પર આધારિત છે. મૂળભૂત પગારમાં વધારો થવાથી પીએફમાં વધારો થશે, જેનો અર્થ છે કે ટેક-હોમ અથવા ઓન-હેન્‍ડ પગારમાં ઘટાડો થશે.

ગ્રેજયુટી અને PF માં વધારો થવાને કારણે લોકો નિવૃત્તિ પછી વધુ સુખી જીવન જીવી શકશે, નવા કાયદા પ્રમાણે વધુ વેતન મેળવતા અધિકારીઓના વેતન સંરચનામાં મોટો બદલાવ આવશે, આનાથી કંપનીની લાગતમાં પણ વધારો થશે કારણ કે કંપનીએ પીએફ માટે વધુ યોગદાન આપવુ પડશે.

નવા કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને ૧૨ કરવામાં આવ્‍યા છે. નિયમોમાં ૩૦ મિનિટની ગણતરી કરીને ૧૫ થી ૩૦ મિનિટના ઓવરટાઇમના વધારાની પણ જોગવાઈ છે. વર્તમાન નિયમમાં ૩૦ મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ ગણવામાં આવતાં નથી. નવા નિયમો પ્રમાણે કોઈપણ કર્મચારીને ૫ કલાકથી વધુ સમય સતત કામ કરવા પર પ્રતિબંધિત છે. કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધા કલાકની બ્રેક આપવી પડશે.

(4:55 pm IST)