મિશન યૂપીમાં કોંગ્રેસના નવા પ્રાણ ફૂંકવા પ્રયાસો
રાજકીય ગુગલી ફેંકાઈ રહી છે
લખનૌ, તા. ૧૧ : ઉત્તરપ્રદેશમાં ત્રણ દશકથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી અચ્છે દિનને લઇને ખુબ જ ઉત્સુક છે. સંગઠનને મજબૂત કરવા માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી રાજકીય ગુગલી ફેંકવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી વાઢેરા પ્રજાને પાર્ટીની તરફેણમાં કરવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં અસરગ્રસ્તોને મળી રહ્યા છે. નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીને લઇને લાલઘૂમ દેખાઈ રહ્યા છે. તેમને આર્થિક મદદ પણ કરી રહ્યા છે. તેમની સાથે ઉભા રહેવાની ખાતરી પણ આપવામાં આવી રહી છે.
હવે એક પગલુ આગળ વધીને પ્રિયંકાએ કહેવાની શરૂઆત કરી દીધી છે કે, જો ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો સીએએ અને એનઆરસીને લાગૂ કરવામાં આવશે નહીં. રાજકીય જાણકારોના કહેવા મુજબ પ્રિયંકાના આ પ્રયાસો પાર્ટીથી દૂર જતા રહેલા મુસ્લિમ લોકોને પાર્ટીની તરફેણમાં કરવા માટેના છે. મુસ્લિમ સમુદાયના લોકો છેલ્લા ઘણા સમયથી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથે દેખાઈ રહ્યા છે. બ્રાહ્મણ અને દલિત સમુદાયના લોકોને સાથે લાવવા માટે સૌથી પહેલા મુસ્લિમો સાથે લાવવાની જરૂર રહેશે. આ બાબતથી પ્રિયંકા વાકેફ છે.