અમેરિકી પંચની ટિપ્પણી મોદી સરકારે ફગાવી છે
પંચનો ઇતિહાસ આવો જ છે : સરકાર
નવી દિલ્હી, તા.૧૦ : અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા પંચ તરફથી નાગરિક સુધારા બિલની સામે ટિપ્પણી કરવાને લઇને ભારતની નિંદા કરી છે પરંતુ ભારતે અમેરિકી પંચના નિવેદન સામે જોરદાર વાંધો ઉઠાવીને તેને ફગાવી દીધો છે. ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકી પંચની ટિપ્પણીમાં કોઇ વિશ્વસનીયતા નથી. તેનો ઇતિહાસ આવો જ રહેલો છે. અમેરિકાના કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિઝિયસ ફ્રીડમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બિલ બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપે છે. સંસ્થા તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ બિલ અયોગ્ય છે જે ધર્મને નાગરિકતાના આધાર તરીકે ગણે છે. કમિશને અમિત શાહ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી જે ભારતે ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નિવેદન જારી કરીને કહ્યું છે કે, અમેરિકી પંચની ટિપ્પણી બિલકુલ અયોગ્ય છે. તેના દ્વારા જે કહેવામાં આવ્યું છે તે તેના અગાઉના ઇતિહાસને જોતા કોઇ આશ્ચર્યજનક બાબત નથી જેથી તેના પર ધ્યાન અપાય નહીં.