પેટા ચૂંટણીમાં હાર્યા પછી કોંગ્રેસના સિદ્ઘારમૈયાએ આપ્યું રાજીનામું
સિદ્ઘારમૈયાએ વિપક્ષના નેતા પદ પણ છોડી દીધું છે
બેંગલુરૂ, તા.૧૦: કર્ણાટકમાં ૧૫ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીમાં સખત હાર પછી વિધાનસભા પક્ષના નેતા એમ સિદ્ઘારમૈયાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એટલું જ સિદ્ઘારમૈયાએ વિપક્ષના નેતા પદ પણ છોડી દીધું છે. આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભાની ૧૫ બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ભાજપ ૧૨ બેઠકો જીતી ગઈ છે. ત્યારે કોંગ્રેસના ફાળે માત્ર બે જ બેઠકો આવી છે. જયારે આગલી ચૂંટણી વખતે ૧૨ બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો.
રાજીનામું આપવાની જાહેરાત કરતાં સિદ્ઘારમૈયાએ કહ્યું હતું કે વિધાનસભા પક્ષના નેતા હોવાને નાતે મારી ફરજ છે કે મારે લોકતંત્રનું સમ્માન કરવું જોઈએ. મે સોનિયા ગાંધીને મારુ રાજીનામુ મોકલી આપ્યું છે. સિદ્ઘારમૈયા કર્ણાટકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ પાંચ વર્ષ સુધી કર્ણાટકના સીએમ રહ્યા હતા. મુખ્ય ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી ન મળતા તેમને વિધાનસભા પક્ષના નેતા બનાવ્યા હતા.
સિદ્ઘારમૈયા પછી કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ સમિતી(કેપીસીસી)ના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે પણ રાજીનામું આપી દીધું છે. ગુંડુ રાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણીની જવાબદારી મને સોંપવામાં આવી હતી. ઉમેદવારોની પસંદગીમાં મારી ભૂમિકા મહત્વની રહી હતી. આ સંજોગોમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી મારી છે. એટલા માટે હું મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટી માટે સતત કામ કરતો રહીશ.
કર્ણાટક વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૧૫ બેઠકોમાંથી ભાજપે મોટી જીત હાંસલ કરી છે. ભાજપે ૧૦ બેઠકો જીતી લીધી છે, અને બે પર તેમના ઉમેદવાર દ્યણા આગણ ચાલી રહ્યા છે. પેટાચૂંટણીના પરિણામ પછી સીએમ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપના ૨૨૪ સભ્યોવાળી વિધાનસભામાં હવે તેમને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે.