મોમ્બાસામાં શ્રી સદ્ગુરુ દિન, ભક્તિ સંગીત, રાસોત્સવમાં સૌ ઝૂમ્યા...
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પુનિત પદરેણુથી સૌ પ્રથમ પાવનમય બનેલી મોમ્બાસાની ધરા. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સર્વપ્રથમ પરદેશની ભૂમિ પર પધારનાર હતા વિશ્વવિભૂતિ યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા. આજથી બરાબર ૭૦ વર્ષ પહેલા સ્વામીબાપા અહીં પધારી સહુ સાધુ – સંતો અને સંત સમાજ માટે પથદર્શક બની રહ્યા. મોમ્બાસા હિન્દ મહાસાગરના તટે વિક્રમ સંવત ૨૦૭૫ ના કારતક વદ ૦)) – અમાવાસ્યા – શ્રી સદ્ગુરુ દિનની ઉજવણી પરમ ઉલ્લાસભેર કરવામાં આવી હતી. ધૂન અને કીર્તન બાદ... સબ સાધન સે ધ્યાન પ્રબલ હૈ, વદત હૈ દાસાનુદાસ... ધ્યાન કરવામાં આવ્યું હતું.
સર્વાવતારી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવનકારી સાન્નિધ્યમાં આ પર્વને ઉજવવામાં આવ્યું હતું. સંધ્યા આરતી,. કીર્તન ભક્તિ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, અબજી બાપાશ્રીની વાતોની પારાયણ, બાપાના આશીર્વાદ, રાસોત્સવ, કીર્તન-ભક્તિ અને રાસોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાસને અંતે સહુને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલીયા અને અમેરિકા વગેરે રાષ્ટ્રોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.