કાલથી આકાશ લીઓનીડસ ઉલ્કાઓથી છવાશે
૨૦ નવેમ્બર સુધી અદ્દભૂત નજારો : રાત્રીના ૧ થી પરોઢ સુધી નિહાળવાનો શ્રેષ્ઠ સમય : કલાકની ૧૫ થી પ૦ ઉલ્કા ખરતી જોવા મળશે : ખગોળીય ઘટનાનો આનંદ લુંટવા વિજ્ઞાન જાથાનો અનુરોધ : ઠેરઠેર અવલોકન કાર્યક્રમો
રાજકોટ તા. ૧૦ : ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાનો રોમાંચ માણ્યા બાદ હવે આવતી કાલે તા. ૧૧ થી ૨૦ મી સુધી આકાશમાં લીઓનીડસ ઉલ્કાઓ વરસતી જોવા મળશે. આ ખગોળીય ઘટનાનો આનંદ લુંટવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અનુરોધ કરાયો છે. સાથો સાથે અનેક સ્થળોએ અવલોકન કાર્યક્રમો પણ ગોઠવેલ છે. જેમાં મુખ્ય ઉલ્કા નિદર્શન સમારોહ અમદાવાદ ખાતે ગોઠવેલ છે.
જાથાની યાદીમાં જણાવ્યા મુજબ રાત્રીના ૧ થી પરોઢ સુધી ઉલ્કા નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય છે. કલાકની ૧૫ થી ૫૦ ઉલ્કાઓ ખરતી જોવા મળશે. વધુમાં વધુ ૧૦૦ સુધી ઉલ્કાઓ છુટી પડી શકે ત્યારે દિવાળીની આતશબાજી જેવો નજારો પણ જોવા મળશે. મહત્તમ ઉલ્કા મંગળ-બુધ તા. ૧૬/૧૭ ના ખરતી જોવા મળશે.
લીઓનીડસ ઉલ્કા વર્ષા નિહાળવા નિદર્શન કાર્યક્રમો માટે જાથાના રોમિત રાજદેવ, રાજુ યાદવ, વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહીત, કિશોરગીરી ગોસાઇ, ઉમેશ રાવ, દિનેશ હુ઼બલ, હરેશ ભટ્ટ, નિર્ભય જોશી, પ્રમોદ પંડયા, નાથાભાઇ પીપળીયા, ભરતભાઇ મહેતા, રમેશ પરમાર, ભાનુબેન ગોહિલ, ભક્તિ રાજગોર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે જાથા કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ નો સંપર્ક કરવા જણાવાયુ છે.