ઈસ્લામાબાદમાં મંદિર માટે પાક. સરકારે જમીન ફાળવી
ચારેબાજુથી ટીકા બાદ ઈમરાન ખાન સરકાર ઝૂકી : પાક.ના ઈસ્લામાબાદ અને આસપાસના વિસ્તારોમાં હિન્દુ સમુદાયના લગભગ ૩૦૦૦ લોકો રહે છે
ઈસ્લામાબાદ , તા.૯ : ચારે તરફથી ટીકા થયા બાદ આખરે પાકિસ્તાનની ઈમરાનખાન સરકારે હિન્દુ મંદિર બનાવવા માટે ઈસ્લામાબાદમાં જમીન ફાળવી આપી છે.
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈસ્લામાબાદમાં ૨૦૧૬માં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી.આ જમીન પર મંદિર, કોમ્યુનિટી સેન્ટર અને સ્મશાન ઘાટ બનાવવાનો હતો .૨૦૧૮માં હિન્દુ પંચાયતને તેનો કબ્જો સોંપી દેવાયો હતો. એ પછી રાજધાનીની ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઈસ્લામાબાદમાં ગ્રીન બેલ્ટમાં નવી ઈમારતો ના બનાવી શકાય તેમ કહીને ફેબ્રુઆરી મહિનામાં જમીન ફાળવણી રદ કરી દીધી હતી. આ નિર્ણયની ભારે ટીકાઓ થઈ રહી અને આખરે ઈમરાન ખાન સરકારને ભાન થયા બદા સરકારના કહેવા પર ડેવલપમેન્ટ ઓથોરિટીએ જમીન ફાળવણી રદ કરવાનો આદેશ પાછો લઈ લીધો છે.આમ મંદિર બનાવવા માટેનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. ઈસ્લામાબાદ અને આસપાસના વિસ્તારોમાં હિન્દુ સમુદાયના લગભગ ૩૦૦૦ લોકો રહે છે.તેઓ પોતાના તહેવારો ઉજવી શકે કે લગ્ન કરી શકે અથવા અંતિમ સંસ્કાર કરી શકે તે માટેના યોગ્ય સ્થળનો અભાવ હતો.