હવે કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન મામલે સસ્પેન્સ ઉદ્ઘાટનની તારીખ નક્કી નથી : પાકિસ્તાન
૯મી નવેમ્બરે કોરિડોર ખોલવાની વાત કરનાર પાકિસ્તાન તૈયાર નથી : રાફેલ પ્રશ્ને ટ્વિટથી વિવાદના ઘેરામાં આવ્યું
ઇસ્લામાબાદ,તા.૧૦: પાકિસ્તાને કહ્યું છે કે, કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનની હજુ સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી. પાકિસ્તાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવની આગામી મહિને આવનાર ૫૫૦મી જ્યંતિના પ્રસંગે સમય ઉપર ઉદ્ઘાટન કરવાની ખાતરી પાકિસ્તાને આપી છે ત્યારે આ અંગેની પ્રતિક્રિયા આવી છે. એક મહિના પહેલા સુધી આ કરતારપુર કોરિડોર પ્રોજેક્ટને લીડ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, પાકિસ્તાન ભારતીય શીખોને ૯મી નવેમ્બરથી કરતારપુર સાહેબની યાત્રાની મંજુરી આપી દેશે. હવે પાકિસ્તાને આને લઇને પણ જોરદાર ગુંલાટ મારી દીધી છે. કરતારપુર કોરિડોરને લઇને હવે પાકિસ્તાને જોરદાર ગુંલાટ મારી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ઉદ્ઘાટનની કોઇ તારીખ હજુ નક્કી કરાઈ નથી. વિદેસ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં કહ્યું છે કે, કરતારપુર કોરિડોર વડાપ્રધાન ઇમરાન ખાનના વચન મુજબ પૂર્ણ થશે. સમયસર ઉદ્ઘાટન કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોઇ તારીખ આપવામાં આવી નથી. ૧૨મી નવેમ્બરના દિવસે ગુરુનાનક દેવની ૫૫૦મી જ્યંતિના દિવસે કોરિડોર ખોલી દેવાની વાત થઇ રહી છે. બીજી બાજુ પાકિસ્તાનના મંત્રીએ રાફેલને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે જેને લઇને સોશિયલ મિડિયા પર તેની નિંદા થઇ રહી છે. હકીકતમાં પાકિસ્તાનના મંત્રીએ એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં રાફેલ જેટમાં લીંબુ અને મરચા દેખાઈ આવે છે. આના જવાબમાં સોશિયલ મિડિયા યુઝર્સોએ પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે. યુઝર્સનું કહેવું છે કે, પાકિસ્તાન તો હવે એક ટાયર ખરીદવાની સ્થિતિમાં પણ નથી. રાફેલ દૂરની વાત છે. એક યુઝર્સે માત્ર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં ઇન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન લખ્યું છે. આ ફોટામાં એક બાજુ ભારતીય વિમાન છે બીજી બાજુ સાયકલ પર વિમાનની આકૃતિ દોરવામાં આવી છે.