મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

પીએમસી બેંક : ડિપોઝિટરોને પગલા લેવાની ખાતરી અપાઈ

નિર્મલા સીતારામને પરેશાન લોકોને ખાતરી આપી : ડિપોઝિટરો દ્વારા જોરદાર દેખાવો કરાયા : આરબીઆઈ દ્વારા કોર્પોરેટ બેંક નિયંત્રિત હોવા છતાં તમામ મદદ કરાશે

નવીદિલ્હી,તા.૧૦ : નાણામંત્રી નિર્મલા સીતારામને પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક કૌભાંડ મામલામાં અસરગ્રસ્ત થયેલા ડિપોઝિટરોને ખાતરી આપતા કહ્યું છે કે, તેમની મદદ કરવા માટે બનતા તમામ પગલા લેવામાં આવશે. પીએમસી બેંકના ડિપોઝિટરો સાથે વાતચીત કર્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામને આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, કો-ઓપરેટિવ બેંક આરબીઆઈ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે પરંતુ મંત્રાલય કેસમાં અભ્યાસ કરશે અને તમામ જરૂરી પગલા લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આરબીઆઈના ગવર્નર સાથે પણ આ સંદર્ભમાં વાતચીત કરવામાં આવશે અને જરૂર પડશે તો કાનૂનની મદદ પણ લેવામાં આવશે. નાણામંત્રીએ આ મોટા બેંક કૌભાંડના મામલામાં પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. આ પહેલા અસરગ્રસ્ત બેંક ગ્રાહકોએ મુંબઈ સ્થિત ભાજપની ઓફિસની બહાર જોરદાર હોબાળો મચાવ્યો હતો. તે વખતે નાણામંત્રી બેઠક યોજી રહ્યા હતા. મોડેથી સીતારામને તેમને રાહત આપવા માટે યોગ્ય પગલા લેવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યં હતું કે, આવી ઘટનાઓને રોકવા માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે.

             જરૂર પડશે તો એક્ટમાં ફેરફાર પણ કરવામાં આવશે. ગ્રાહકોના વિરોધ પ્રદર્શન એ વખતે થઇ રહ્યા હતા જ્યારે ભાજપ ઓફિસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. નાણામંત્રીએ કહ્યું હતું કે, નાણામંત્રાલય દ્વારા બેંક સાથે કોઇ લેવા દેવા નથી. કારણ કે, બેંકિંગ રેગ્યુલેટર આરબીઆઈ તરીકે છે પરંતુ તે પોતાની રીતે પગલા લઇને ગ્રામિણ વિકાસ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલયને મામલામાં અભ્યાસ કરીને રિપોર્ટ સોંપવા માટે અપીલ કરશે. સીતારામને કહ્યું હતું કે, મંત્રાલયના સચિવોને કેસમાં વિસ્તારપૂર્વક અભ્યાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં શું થઇ રહ્યું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. આરબીઆઈના પ્રતિનિધિઓ પણ સાથે રહેશે જેથી કોઇપણ પ્રકારની કમીને સમજી શકાશે અને જરૂર પડશે તો એક્ટમાં સુધારા કરીને પગલા લઇ શકાશે. પીએમસીના ગ્રાહકોમાં અચાનક એ વખતે ખળભળાટ મચી ગયો હતો જ્યારે ૨૪મી સપ્ટેમ્બરના દિવસે આરબીઆઈએ બેંકના કામકાજ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો અને છ મહિનાની અવધિ માટે માત્ર એક હજાર રૂપિયા ઉપાડવાની મંજુરી આપી હતી.

             જો કે, ગ્રાહકોની તકલીફને ધ્યાનમાં લઇને ૨૬મી સપ્ટેમ્બરના દિવસે ઉપાડની મર્યાદાને વધારીને ૧૦૦૦૦ કરવામાં આવી હતી. ત્રીજી ઓક્ટોબરના દિવસે ઉપાડની મર્યાદા ૨૫૦૦૦ કરવામાં આવી હતી. છેલ્લા ૧૦ વર્ષથી કૌભાંડની રમત ચાલી રહી હતી. આ મામલામાં હજુ સુધી ઇડીએ ચારની ધરપકડ કરી છે જેમાં રિયલ એસ્ટેટ કંપની એચડીઆઈએલના પ્રમોટર સારંગ અને રાકેશ વાધવાનની સાથે બેંકના પૂર્વ એમડી જોય થોમસ અને પૂર્વ ચેરમેન વરિયામ સિંહનો સમાવેશ થાય છે. હજુ સુધીની તપાસમાં એવી વિગતો ખુલી છે કે, બેંક અને કંપની બંને આરબીઆઈ અને રજિસ્ટ્રેશન ઓફ કંપનીને વિશ્વાસઘાતમાં રાખીને ૧૦ વર્ષથી આ રમત રમી રહ્યા હતા. ડમી એકાઉન્ટ મારફતે લેવડદેવડના આંકડા દર્શાવવામાં આવી રહ્યા હતા.

(7:42 pm IST)