સેનાના જવાનો કે કાશ્મીરીઓથી નહી ભાજપને ફક્ત ચૂંટણી જીતવાથી મતલબ:મહેબૂબા મુફ્તીનો આરોપ
જો બધું જ સામાન્ય છે તો કાશ્મીરમાં 9 લાખ સૈનિકો કેમ છે? ટ્વીટર પર કર્યો સવાલ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાં બાદથી રાજકીય તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે જમ્મુ કાશ્મીરમાં અનેક મોટા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. તો આ વચ્ચે બ્લો વિકાસ પરિષદની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે પીડીપીના અધ્યક્ષા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને આરોપ લગાવ્યો છે કે ભાજપને સેનાના જવાનો કે કાશ્મીરીઓની ચિંતા નથી તેમને ફક્ત ચૂંટણી જીતવાથી જ મતલબ છે.
રાજ્યમાં આર્ટિકલ 370 હટાવ્યાં બાદ મહેબૂબાને નજરકેદ કરવામાં આવ્યા છે ત્યારે તેમનું ટ્વિટર એકાઉન્ટ તેમની દીકરી જોઈ રહી છે. મહેબૂબાના ટ્વિટર હેન્ડલ પરથી ગુરૂવારે સવાલ કરવામાં આવ્યા કે જો બધું જ સામાન્ય છે તો કાશ્મીરમાં 9 લાખ સૈનિકો કેમ છે.
તેઓએ ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે તેઓ અહીં પાકિસ્તાન તરફથી આંશકિત હુમલાને લઈને નથી પરંતુ વિરોધ પ્રદર્શન દબાવવા માટે છે. સેનાની પ્રાથમિક જવાબદારી વિરોધના સ્વરને કચડવાની જગ્યાએ સરહદને સુરક્ષિત રાખવાની છે.