અરુણ જેટલીના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની સીટ પર ભાજપના સુધાંશુ ત્રિવેદી બિનહરિફ ચૂંટાયા
પેટા ચૂંટણીમાં કોઈ અન્ય પાર્ટીએ દાવેદારી નહી નોંધાવતા બિનહરીફ જાહેર
નવી દિલ્હી : ભાજપ નેતા અરૂણ જેટલીના નિધન બાદ ખાલી થયેલી રાજ્યસભાની સીટ માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુધાંશુ ત્રિવેદી બિનહરિફ ચૂંટાયા છે. અરૂણ જેટલી ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા પરંતુ લાંબી બિમારીના કારણે 24 ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું અને તે બાદ રાજ્યસભાની સીટ ખાલી પડી હતી. જે માટે ભાજપે સુધાંશુ ત્રિવેદીને ભાજપે ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશની આ રાજ્યસભાની સીટ પરથી ગત શુક્રવારે સુધાંશુ ત્રિવેદીએ ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ સીટ માટે પેટા ચૂંટણીમાં કોઈ અન્ય પાર્ટીએ દાવેદારી નહી નોંધાવતા સુધાંશું ત્રિવેદીની જીત નક્કી માનવામાં આવી રહી હતું અને આજે તેમને બિનહરિફ ચૂંટાયા છે. જો કે આ સીટ માટે 16 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાવાની હતી.