મુખ્ય સમાચાર
News of Wednesday, 10th August 2022

ખેડૂતો ઉપર વધુ દેવું: ૨ વર્ષમાં કૃષિ ક્રેડિટ ૩૨% વધી

બીજ-ખાતર-વિજળી-કાચો માલ-મજુરી મોંઘી થયાનું કારણઃ પાક નિષ્‍ફળ જવો એ પણ એક મહત્‍વનું કારણ : ૨૦૧૯-૨૦માં એગ્રી ક્રેડિટ રૂા.૭૩૨૨૮.૬૭ કરોડ હતી જે ૨૦૨૧-૨૨માં વધીને થઇ રૂા.૯૬૯૬૩.૦૭ કરોડ !

નવી દિલ્‍હી, તા.૧૦: ખાતર, ડીઝલ, પાવર અને બીયારણના ભાવો વધવાના કારણે ખેડૂતોની ક્રેડીટ રીકવાયરમેન્‍ટમાં છેલ્લા બે વર્ષમાં નાટકીય વધારો થયો છે. સંસદમાં રજૂ કરાયેલ આંકડાઓ અનુસાર, ગુજરાતમાં એગ્રીકલ્‍ચર ક્રેડીટ ૨૦૧૯-૨૦માં ૭૩૨૨૮.૬૭ કરોડ રૂપિયાની સરખામણીમાં વધીને ૨૦૨૧-૨૨માં ૯૬૯૬૩.૦૭ કરોડ થઇ ગઇ છે.

રસપ્રદ છે કે આ બે વર્ષમાં એગ્રીકલ્‍ચર ક્રેડીટ હેઠળ લેવાયેલ લોન ૪૫ ટકા વધી છે. કેન્‍દ્રિય કૃષિ મંત્રાલયના આંકડાઓ અનુસાર આ સમયગાળામાં ખાતા દીઠ એગ્રીકલ્‍ચર ક્રેડીટ ૧.૭૧ લાખ રૂપિયાથી વધીને ૨.૪૮ લાખ રૂપિયા થઇ ગઇ છે.

ખેડૂતોનું કહેવુ છે કે ખેડૂતોના દેવા વધવાનું મોટુ કારણ પાકની નિષ્‍ફળતા છે અને તે ઉપરાંત ખેતીકામની પડતર કિંમતમાં પણ આ સમયગાળામાં નોંધપાત્ર વધારો થયો છે. અમરેલી જીલ્લાના ધારી ગામના એક ખેડૂત અરવિંદ પટેલે આ અંગે સમજાવતા કહ્યું, ‘બે વર્ષ પહેલા ખાતરની એક થેલી ૨૧૦ રૂપિયામાં આવતી હતી જે અત્‍યારે ૩૧૦ રૂપિયામાં મળે છે. આ સમયગાળામાં બિયારણના ભાવ બમણા થઇ ગયા છે આ ઉપરાંત ડીઝલના ભાવો વધ્‍યા છે. બીજી બાજુ ગયા વર્ષે આવેલા તૌકતે વાવાઝોડાને કારણે અમને થયેલા ભારે નુકશાન માટે સરકાર તરફથી કોઇ રાહત નથી મળી.

કપાસ, તલ અને મગફળીની ખેતી કરતા અરવિંદ પટેલે વધુમાં કહ્યું કે વધારે વરસાદના કારણે પાકની ગુણવત્તાને નુકશાન થવાથી ભાવો ઓછો મળે છે. ખેડૂતોની આવકમાં બધા કારણોને લીધે ઘટી છે, જયારે ઇન્‍પુટ કોસ્‍ટ વધી ગઇ છે. આ ઉપરાંત ખેડૂતોને પોતાની જૂની લોનો પણ ચુકવવી પડે છે. આ બધાના કારણે તેમણે લેવી પડતી એગ્રીકલ્‍ચર ક્રેડીટમાં વધારો થયો છે.

(10:18 am IST)