કોરોના : બ્રાઝીલમાં મરણાંક એક લાખથી વધ્યો
રિયો ડી જેનેરિયો તા. ૧૦ : બ્રાઝીલમાં પાંચ મહિના અગાઉ કોવિડ-૧૯નો પહેલો કેસ નોંધાયો હતો અને કોરોના વાઇરસને લીધે શનિવાર રાત સુધીમાં મરનાર દરદીની સંખ્યા એક લાખથી વધી હતી. મે મહિનાના અંતથી ૨૧ કરોડની વસતિ ધરાવતા આ દેશમાં રોજ ૧૦૦૦થી વધુ વ્યકિતનાં મોત કોરોના વાઇરસને લીધે થાય છે. કોરોના વાઇરસને લીધે પાછલા ૨૪ કલાકમાં અહીં ૯૦૫ વ્યકિતનાં મોત થયાં હતાં.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર હાલ દેશમાં કોરોનાના ૩,૦૧૨,૪૧૨ સક્રિય કેસ છે અને કોરોના વાઇરસને લીધે મરનાર અને સક્રિય દરદીની સંખ્યાને મામલે બ્રાઝીલનો ક્રમાંક અમેરિકા બાદ બીજા નંબરે આવે છે. કોવિડ-૧૯ને લીધે મરનાર દરદીઓની યાદમાં એક એનજીઓએ શનિવારે ત્યાંના પ્રસિદ્ઘ કોપાકબાના બીચ પર ૧૦૦૦ ક્રોસ મુકયા હતા અને ૧૦૦૦ ફૂગ્ગા હવામાં છોડયા હતા.