કરુણાનિધિના નિધન બાદ અચાનક ડીએમકેની 14મીએ ઇમર્જન્સી કારોબારીની બેઠક બોલાવાઇ
તામિલનાડુમાં એમ. કરુણાનિધિના નિધન બાદ 14મી ઓગસ્ટે દ્રવિડ મુનેત્ર કઝગમની કારોબારીની ઈમરજન્સી બેઠક બોલાવાઈ છે ડીએમકે દ્વારા જણાવાયું છે કે પાર્ટી કારોબારીની બેઠક 14મી ઓગસ્ટે સવારે દશ વાગ્યે ચેન્નઈ ખાતેના પાર્ટીના મુખ્યમથક અન્ના અરિવાલયમ ખાતે યોજાશે આ બેઠકમાં ડીએમકે કારોબારીના તમામ પદાધિકારીઓને સામેલ થવાની તાકીદ કરવામાં આવી છે.
ડીએમકે કારોબારી બેઠકનો એજન્ડા કરુણાનિધિના નિધન પર શોક વ્યક્ત કરવાનો હોવાનું પાર્ટીના મહાસચિવે જણાવ્યું છે.આવા પ્રકારની એક બેઠક તમિલનાડુના તત્કાલિન મુખ્યપ્રધાન અને ડીએમકેના સંસ્થાપક સી. એન. અન્નાદુરાઈના નિધન બાદ 1969માં યોજાઈ હતી. આ બેઠકમાં માત્ર કન્ડોલન્સ રિઝોલ્યૂશન જ સ્વીકારવામાં આવશે અને અન્ય કોઈ એજન્ડાને કરોબારી બેઠકમાં સામેલ કરવામાં નહીં આવે.
ડીએમકેના સૂત્રો મુજબ, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ એમ.કે.સ્ટાલિનને પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ પણ જનરલ કાઉન્સિલની બેઠકમાં આગળ વધારવામાં આવશે. જાન્યુઆરી માસમાં સ્ટાલિનને ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. કરુણાનિધિ ઓક્ટોબર-2016થી બીમાર હતા અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળતી વખતે તેઓ પાર્ટીના ખજાનચી પણ હતા.