મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

પાકિસ્તાનમાં ઇમરાનખાન 11મીએ નહિ બની શકે પીએમ : શપથગ્રહણ અંગે અનિશ્ચિતતા

રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈને 13 ઓગસ્ટે નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવ્યું

પાકિસ્તનમાં ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યા બાદ ટેકો લઈને વડાપ્રધાન બનવા જઈ રહેલા ઇમરાનખાનાના શપથ ગ્રહણમાં ગ્રહણ લાગ્યું છે ચૂંટણી જીત્યા બાદ ઈમરાન ખાને અગિયારમી ઓગસ્ટે વડાપ્રધાન પદે શપથગ્રહણ કરવાનું એલાન કર્યું હતું. પરંતુ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતાની શપથવિધિની તારીખ પર હવે અનિશ્ચિતતાના વાદળો ઝળુંબતા દેખાઈ રહ્યા છે. ઈમરાન ખાન પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ 14મી ઓગસ્ટે વડાપ્રધાન પદે શપથગ્રહણ કરવા ઈચ્છતા હતા. પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈને 13 ઓગસ્ટે નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવ્યું છે.

નિયમો મુજબ સત્રના પહેલા દિવસે નવા સદસ્યોને શપથ અપાવવામાં આવશે. ત્યાર બાદ નેશનલ એસેમ્બલીના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થશે. વડાપ્રધાનની ઔપચારીક પસંદગી અને શપથગ્રહણ તેના પછી થશે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન 16મી ઓગસ્ટે વડાપ્રધાન પદે શપથગ્રહણ કરશે. જો કે આમાં પણ હજી એક પેચ છે. રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈન 16મી ઓગસ્ટથી આયરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે રવાના થવાના હોવાના પાકિસ્તાની મીડિયા અહેવાલમાં દાવા થઈ રહ્યા છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈનને પોતાની વિદેશ યાત્રાને ટાળવાની પણ અપીલ કરી છે. ઈમરાન ખાનની પાર્ટીના પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યુ છે કે જો મમનૂન હુસૈન દેશની બહાર જશે.. તો પણ આ સમયગાળા માટે કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખની હેસિયતથી સેનેટના ચેરમેન ઈમરાન ખાનને વડાપ્રધાન પદે શપથગ્રહણ કરી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ઈમરાન ખાન 15 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ વચ્ચે શપથ લઈ શકશે.

(5:28 pm IST)