મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

નેપાળમાં નવો કાયદો, ચલણ પર લખાણ હશે તો થશે જેલ

નેપાળમાં નોટોનું આયુષ્ય વધારવા નવો કાયદો અમલમાં આવશે,નોટ પર લખવા, ફાડવા કે લાઈન દોરવાના ગુના બદલ ત્રણ મહિનાની જેલ તેમજ ૫,૦૦૦ દંડ થઈ શકે

કાઠમાંડુ, તા.૧૦: નેપાળ સરકારે દેશની ચલણી નોટો પર લખવા, ફાડવા, સળગાવા કે તેના પર લાઇન દોરવાને પણ અપરાધની શ્રેણીમાં ગણાવ્યું છે. નેપાળ સરકાર જાહેરાત કરી છે કે આ નિયમને ૧૮ ઓગસ્ટથી દેશમાં લાગુ કરાશે, ક્રિમિનલ પ્રોસિજર કોડ એકટ ૨૦૦૭ મુજબ દેશની કરન્સી નોટ કે સિક્કાઓને કોઇ પણ જાતનું નુકશાન પહોંચાડતા ત્રણ મહિનાની જેલ અને ૫૦૦૦ નેપાળી રૂપિયા દંડ રૂપે લેવાશે.

આ સંદર્ભે નેપાળ રાષ્ટ્ર બેંક, સેંટ્રલ બેંકે બુધવારે પોતાની બધી જ શાખાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ નવા નિયમને લાગુ કરવા ખાતરી કરે. એનઆરબીના નોટ વ્યવસ્થા વિભાગના પ્રમુખ લક્ષ્મી પ્રપાન્ના નિરૌલાએ ગુરૂવારે જણાવ્યું કે આ કાયદો લાગુ થવાથી ચલણ લાંબો સમય સુધી સલામત રહેશે જેનાથી એનઆરબીના કરન્સી છાપવાના ખર્ચમાં બચત થશે.

અત્યાર સુધી નેપાળમાં માત્ર નકલી ચલણ પર જ કાયદો હતો, પહેલી વાર નેપાળ સરકારે વર્તમાન ચલણને કોઇ નુકસાન કરવા પર નિયમ લાગુ કર્યા છે. હાલમાં નેપાળમાં ૨૮ હજાર કરોડ (૪૫૮ અરબ નેપાળી ચલણ) ચલણમાં છે. જેમાં ૩૦ ટકા જેટલી નોટો પર લાઇન ખેંચવા અને ઉપર લખવાને લીધે ખરાબ થઇ ગઇ છે.(૨૩.૧૨)

(3:45 pm IST)