મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

રાજયસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસ સામે વિજય મેળવીને ભાજપે ભવિષ્યની રણનીતિના સંકેતો આપ્યા

એનડીએને એકજુથ રાખીને ભવિષ્યના મિત્રો શોધશેઃ જે ચૂંટણી પછી મદદ કરશે

નવીદિલ્હી તા.૧૦: રાજયસભામાં ઉપ સભાપતિની ચૂંટણીમાં કોંગ્રેસ સામેની સીધી લડાઇમાં જીત મેળવીને ભાજપાએ ભવિષ્યની રણનીતિનો સંદેશ આપી દીધો છે, પક્ષે એનડીએના પોતાના જુથને હાથવગું રાખીને ભાવિમિત્રો પણ તપાસ્યા છે કે જે લોકસભાની ચૂંટણીમાં અને ત્યારપછીની પરિસ્થિતિમાં મદદરૂપ થશે. બીજી તરફ ઉચ્ચ સદનમાં પોતાની તાકાતથી સરકારને ડરાવનાર વિપક્ષી એકતાને પણ ભાજપાએ પરાસ્ત કરી હતી. ભાજપાએ સ્પષ્ટ કરી દીધું હતું કે ઉચ્ચ સદનમાં પણ જરૂર પડે ત્યારે જીતનું સમીકરણ ગોઠવી શકે છે.

રાજય સભામાં ઉપ સભાપતિપદને ભાજપા અને કોંગ્રેસના વચ્ચે વર્ચસ્વ અને પ્રતિષ્ઠાના જંગમાં અંકગણિત પર રાજકારણી ગણિત હાવી થયું હતું. કોંગ્રેસીનેતાઓ બીજા વિપક્ષો સાથે રણનીતિ ગોઠવવામાં ગુંચવાઇ ગયા જયારે ભાજપે એવો ઉમેદવાર ઉભો કર્યો, જેને વિરોધ પક્ષના મહત્વપૂર્ણ બીજદનો ટેકો મળી શકયો, ઉપરાંત પોતાનાથી નારાજ એવા સહયોગી પક્ષો શિવસેના અને અકાલી દળને પણ પોતાની સાથે રાખી શકયા હતા. સત્તાપક્ષે વિપક્ષી ટોળીના એક સાંસદનું સમર્થન મેળવવામાં પણ સફળતા મેળવી છે.

ત્રણ પક્ષોને સાથે  રાખવા સરળ નહોતા

ભાજપાની રણનીતિ ખાલી ઉપસભાપતિની ચૂંટણી પુરતી સીમીત નહોંતી, પણ તેમાં લોકસભા ચૂંટણી માટેની પ્રત્યક્ષ અને પરોક્ષ રણનીતિ પણ શામેલ હતી. એની કમાન વડાપ્રધાન મોદી પોતે અને ભાજપા પ્રમુખ અમિત શાહે સંભાળી હતી. અન્નાદ્રમુક, ટીઆરએસ અને બીજદનું સમર્થન મેળવવું સહેલું નહોતું કેમકે ભાજપા આ ત્રણે પક્ષોની સત્તાવાળા રાજયોમાં પોતાની તાકાત વધારીને તેમને પડકાર આપવાની તૈયારી કરી રહયો છે.

બીજદ સાથે રખાશે નરમ વહેવાર

ઓરિસ્સામાં આઠ મહિના પછી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપા અને બીજદ વચ્ચે સીધી લડાઇ થશે. બીજદને હાલ પુરતું મનાવવામાં ભલે નિતીશ કુમારે મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હોય, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ નવીન પટનાયક સાથે વાત કરીને તેમને એટલો સંદેશતો આપ્યો જ છે કે આવનાર સમયમાં ભાજપા અને બીજદ વચ્ચે એક નવો સંબંધ બની શકે છેે. સામસામેની ચૂંટણીમાં બન્ને પક્ષોએ વધારે કડવાશ ન ફેલાવવી અને ચૂંટણી પછી ભાજપાને તની જરૂર પણ પડી શકે છે.

તમિલનાડુમાં બની શકે છે નવા સમીકરણો

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ વખતે સરકારને ટેકો આપનાર અન્નાદ્રમુકે રાજયસભામાં પણ સત્તાધારી પક્ષને સાથ આપ્યો હતો. તમિલનાડુના રાજકારણમાં અન્નાદ્રમુકના ઘોર વિરોધી દ્રમુક કોંગ્રેસની  સાથે હોવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપા અને અન્નાદ્રમુકનું જોડાણ પણ થઇ શકે છે. તેલંગાણાની સત્તાધારી ટીઆરએસે પણ ભવિષ્યની રણનીતિ જોતા સત્તાપક્ષનું સમર્થન કર્યું છે. ટીઆરએસનું વલણ કેન્દ્ર સાથે સારા સંબંધ રાખવાનું રહયું છે.(૧.૭)

(11:30 am IST)