રાશનની દુકાનેથી મળશે હવે સસ્તી દાળ
પીડીએસ માટે રાજ્યોને કિલો દીઠ રૂ. ૧૫ના ભાવે ૩૫ લાખ ટન દાળ વેચવા કેબિનેટની મંજૂરીઃ કેન્દ્ર પાસે દાળનો મોટો જથ્થો પડી રહ્યો હોવાથી લેવાયેલો નિર્ણય : આ સ્કીમના અમલીકરણ પાછળ કેન્દ્ર સરકારને ૫૨૩૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
નવી દિલ્હી તા. ૧૦ : ગુરૂવાર કેન્દ્ર સરકાર પાસે દાળનો વિશાળ જથ્થો હોવાથી કેબિનેટે પીડીએસ હેઠળ રાજયોને કીલો દીઠ ૧૫ રૂપિયાના ભાવે ૩૫ લાખ ટન દાળ વેચવાની મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મળેલી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઇએ)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કીમના અમલીકરણ પાછળ કેન્દ્ર સરકારને ૫૨૩૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે પ્રાઇસ સપોર્ટ સ્કીમ(પીએસએસ) હેઠળ રાજયોને ૩૪.૮ લાખ ટન દાળ આપશે. આ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર કીલો દીઠ રૂ. ૧૫ના ભાવે રાજયોને તુવેર, ચણા, મસૂર, મૂંગ અને અડદની દાળ વેચશે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઇએ)ની બેઠકને અંતે કાયદા અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે આ સ્કીમના અમલીકરણ પાછળ સરકારને ૫૨૩૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
રાજયો આ દાળના જથ્થાનો ઉપયોેગ રેશનિંગની દુકાનો, મધ્યાહન ભોજન યોજના, બાળ વિકાસ યોજનાઓ સહિતની કલ્યાણકારી સ્કીમો માટે કરી શકશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં દાળનું વિક્રમજનક ઉત્પાદન થવાને કારણે દાળના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.(૨૧.૯)