મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

અનામત : મહારાષ્ટ્રમાં બંધ વેળા હિંસા, સ્થિતિ તંગ રહી

પુણેના સાત તાલુકાઓમાં ઇન્ટરનેટ સેવા બંધઃ પુણેમાં આઈટી કંપનીઓમાં દેખાવકારો ઘુસી ગયા, ભારે પથ્થમારો કરાયો : ટ્રેનો રોકવાના પ્રયાસ : સ્થિતિ વણસી

મુંબઇ,તા. ૯: સરકારી નોકરી અનવે શિક્ષણ સંસ્થાઓમાં અનામત અને મરાઠા આંદોલનના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મરાઠા સમુદાય દ્વારા બોલાવવામાં આવેલા મહારાષ્ટ્ર બંધની અસર આજે જોરદારરીતે જોવા મળી હતી. મહારાષ્ટ્ર બંધનું હિંસક સ્વરુપ પુણેમાં જોવા મળ્યું હતું. દેખાવકારો હિંજેવડી અને કોઠરુદ વિસ્તારમાં આઈટી કંપનીઓમાં ઘુસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. કેટલાક દેખાવકારોએ પુણેમાં માનકપુર રિંગ રોડની પાસે રસ્તા રોક્યા હતા. સાયકોલ ફુંકી મારવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ટ્રેન રોકવાના પ્રયાસ પણ થયા હતા. જો કે, રેલવે પ્રોટેક્શન ફોર્સે તેમની યોજનાને સફળ થવા દીધી ન હતી. મરાઠા સમુદાય દ્વારા બોલાવવામાં આવેલા બંધનું સમર્થન કરવા માટે એક ધારાસભ્યએ નવી પદ્ધતિ અપનાવી હતી. મુંબઈમાં પણ કેટલાક લોકોએ આંખ અને મો ઉપર કાળી પટ્ટી બાધીને દેખાવો કર્યા હતા. બીજી બાજુ મુંબઈ-મહારાષ્ટ્ર બંધને લઇને અનેક જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા સાવચેતીના પગલારુપે બંધ રાખવામાં આવી હતી. પુણે સહિત સાત તાલુકાઓમાં ઇન્ટરનેટ સેવાઓને બંધ રાખવામાં આવી હતી. હિંસાની સ્થિતિને ધ્યાનમાં લઇને પુણેમાં બસ સેવા પણ બંધ રખાઈ હતી. દરમિયાન સ્કુલો અને કોલેજોમાં હાજરી ઓછી દેખાઇ હતી. સવારમાં સ્કુલ અને કોલેજો પણ જારી રહી હતી. હાલમાં જનજીવન સામાન્ય દેખાઇ રહ્યુ છે. આજે સવારમાં મુંબઇના જીટીબી નગરમાં બાળકો સ્કુલે જતા નજરે પડ્યા હતા. જો કે કેટલાક વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી. પ્રાઇવેટ એરલાઇન્સ પણ પ્રદર્શનના કારણે ચિંતામાં દેખાઇ હતી. જો કે એરલાઇન્સ દ્વારા પહેલાથી જ પોતાના યાત્રીઓને વહેલી તકે વિમાનીમથકે પહોંચી જવા માટે કહેવામાં આવ્યુ હતુ. ઇન્ડિગો દ્વારા સવારમાં જ યાત્રીઓને એરપોર્ટ પર પહોંચી જવા માટે કહ્યુ હતુ. નવી મુંબઇને બાદ કરતા મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં આજે સવારે મરાઠા ક્રાન્તિ મોરચાના સભ્યો દ્વારા શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવ્યા હતા. તેના સભ્યોએ કહ્યુ હતુ કે કોઇ પણ પ્રકારની હિંસામાં અમે પડવા માંગતા નથી. બંધની અસર સાંજે છ વાગ્યા સુધી રહે તેવા સંકેત છે. બંધને ધ્યાનમાં લઇને પોલીસ દ્વારા પહેલાથી જ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. કોઇ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૃરી પગલા લેવામાં આવ્યા હતા. મરાઠા સમાજના લોકો દ્વારા રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન દરમિયાન તમામ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે મરાઠા ક્રાન્તિ મોરચાને બે વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ બે વર્ષમાં મરાઠા સમાજે ૫૮ શાંતિ મોરચા કાઢ્યા છે. આગામી દિવસોમાં પણ તેમના કાર્યક્રમ જારી રહેનાર છે.

(12:00 am IST)