મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષના મહાગઠબંધનમાં ''આપ ''નહિ જોડાઈ

રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી માટે સંપર્ક નહીં કરવાથી રાહુલ ગાંધી સામે નારાજગી જાહેર કરાયા બાદ 'આપ 'નો મોટો નિર્ણંય

 

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષના મહાગઠબંધનની ગાડી પાટે ચડતી નથી,આજે રાજ્યસભાના ઉપ સભાપતિની ચૂટણીંમાં વિપક્ષને પરાજય મળ્યા બાદ મહાગઠબંધનના એક અન્ય એક સંભવિત પાર્ટીએ  તેનાથી દૂર રહેવા નિર્ણંય કર્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની  આમ આદમી પાર્ટીના સંયોજકે હરિયાણામાં કહ્યું કે તેમની પાર્ટી 2019માં ભાજપની સામે મહાગઠબંધનનો ભાગ નથી. કેજરીવાલે તેની પાછળના તર્ક પણ જણાવ્યા છે. રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી માટે AAPનો સંપર્ક ન કરવાને લઈને ગઈકાલ સુધી પાર્ટીના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી રહ્યા હતા અને આજે કેજરીવાલે પાર્ટીનું સ્ટેન્ડ જ એક રીતે ક્લિયર કરી દીધું.

  દિલ્હીના સીએમ કેજરીવાલે આ વાતની જાહેરાત રોહતકમાં કરી. કેજરીવાલે કહ્યું કે, જે પાર્ટીઓ સંભવિત મહાગઠબંધનમાં સામેલ થઈ રહી છે, તેનો દેશના વિકાસમાં કોઈ ફાળો નથી. જોકે, કેજરીવાલની આ જાહેરાત રાજકીય વિશ્લેષકો માટે થોડી આશ્ચર્યજનક ચોક્કસ છે. કેમકે, AAPએ મોટાભાગે પોતાને એનડીએ વિરુદ્ધ વિપક્ષની એકજૂથતાની સાથે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કર્ણાટકમાં કુમારસ્વામીની શપથમાં કેજરીવાલની હાજરી અને પછી જંતર-મંતર પર તેજસ્વીના ધરણાને સમર્થન આપીને AAPએ એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે તે કેન્દ્ર સરકારની સામે લડાઈમાં સાથે છે. હજુ બુધવારે જ AAPના નેતા સંજય સિંહે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી રાજ્યસભા ઉપસભાપતિ પદ પર વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદ માટે તેમની પાસે સમર્થન કેમ નથી માગી રહ્યા.

   આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તામાં છે અને પંજાબમાં ગત વિધાનસભામાં એક નવી પાર્ટીની દ્રષ્ટિએ તેનું પ્રદર્શન સારું રહ્યું છે. એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, શું અરવિંદ કેજરીવાલે પોતાની રાજકીય જમીન બચાવવા માટે આવી જાહેરાત કરી છે? હકીકતમાં દિલ્હીમાં AAPનો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ બંને સામે છે. એ જ રીતે પંજાબમાં તે કોંગ્રેસ અને અકાલી દળ+ભાજપ સામે ઊભી છે. લોકસભા ચૂંટણી હવે નજીક આવી ગઈ છે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે અને પંજાબની 13 બેઠકોમાંથી 4 તેણે જીતી છે.

  AAPએ ગત દિવસોમાં વિપક્ષી એકતામાં પોતાનું સ્થાન બનાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ દર વખતે કોંગ્રેસ તરફથી રસ ન બતાવાયો. હવે, કેજરીવાલના આ નવા સ્ટેન્ડનું કારણ એ પણ હોઈ શકે છે કે કદાચ તેઓ પોતાના કોર વોટર્સને પોતાના જૂના એન્ટી કોંગ્રેસ અને એન્ટી ભાજપની યાદ અપાવી રહ્યા છે. એવું એટલા માટે પણ કે જેથી નવા કિલ્લા ભેદવાના ચક્કરમાં ગઢ જ હાથમાંથી નીકળી ન જાય.

(12:00 am IST)