મુંબઈમાં કિન્નરની ક્રૂરતાઃ ઈનામ ના મળતા માસૂમ બાળકીના અપહરણ બાદ હત્યા
મુંબઈના કફ પરેડ વિસ્તારમાં રહેતા દંપતિના ઘરે ૩ મહિના પહેલાં દીકરીનો જન્મ થયો હતો : કિન્નરે દીકરીના જન્મ પર ઈનામમાં રૂ.૧૧૦૦, એક નાળીયેર અને સાડી માંગી હતી : દંપતિએ માંગ પૂરી ના કરતા કિન્નરે મનોમન બદલો લેવાનું નક્કી કરી લીધુ
મુંબઈ,તા.૧૦: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. વાત એમ છે કે એક દંપતિના ઘરે દીકરીનો જન્મ થયા બાદ ઈનામની રકમ ના મળતા એક કિન્નરે ૩ મહિનાની બાળકીનું ઘરેથી અપહરણ કર્યુ. એ પછી આ બાળકીને ખૂબ ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધી. જયારે આખી ઘટનાની જાણ પોલીસને થઈ તો અધિકારીઓએ કિન્નર સહિત તેના એક સાગરીતની ધરપકડ કરી લીધી છે.
આખી ઘટના મુંબઈના કફ પરેડ વિસ્તારની છે. જયાં એક દંપતિને ૩ મહિના પહેલાં દીકરીનો જન્મ થયો હતો. જેની ખુશીમાં કિન્નર પોતાના સાથીઓ સાથે દંપતિના ઘરે પહોંચ્યા હતા. કિન્નરે ખુશ થઈને દીકરીના જન્મ પર માતા-પિતા પાસે ઈનામમાં રૂ.૧૧૦૦, એક નાળીયેર અને સાડી માંગી હતી.
બાળકીના ઘરવાળાઓએ કિન્નરની આ વાત સ્વીકારી નહીં અને ઈનામ આપવાથી ઈનકાર કરી દીધો. કિન્નરને આ વાત જરાય ગમી નહીં અને દંપતિ પાસે બદલો લેવાનું મનોમન નક્કી કરી લીધું. ઈનામ ના મળતા કિન્નરે તેના એક પુરૂષ સાથીદારની મદદથી રાતના સમયે બાળકીનું તેના ઘરેથી અપહરણ કર્યું.
બાળકીના ગાયબ થતાં જ ઘરમાં હોબાળો મચી ગયો અને પરિવારવાળાઓની ઉંઘ હરામ થઈ ગઈ. બાળકીની માતાએ કફ પરેડ પોલીસ સ્ટેશન પહોંચીને બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી. ફરિયાદ દાખલ થતાં જ પોલીસે તપાસ હાથ ધરી અને ખુલાસો થયો કે ઈનામની રકમ ના મળતાં ઉશ્કેરાયેલા કિન્નરે બાળકીનું અપહરણ કર્યુ અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે હાલ તો કિન્નર અને તેના સાગરીતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. સાથે જ પોલીસ આ કિન્નર અને તેના સાગરીતની તપાસ કરી રહી છે કે આ પહેલાં તેઓએ આવી કોઈ ગુનાહિત પ્રવૃત્ત્િ।ને અંજામ આપ્યો છે કે નહીં.