સુમિત્રા મહાજનને મહારાષ્ટ્ર કે છત્તીસગઢનાં રાજયપાલ બનાવાશે
ઇન્દોર તા. ૧૦: લોકસભાના સ્પીકર અને ઇન્દોરથી આઠ વખત સાંસદ રહી ચૂકેલાં સુમિત્રા મહાજન તાઇની છત્તીસગઢ અથવા મહારાષ્ટ્રના રાજયપાલ તરીકે નિમણૂંક થઇ શકે છે. ભાજપની કેન્દ્રીય સમિતિમાં તેના પર વિચારણા કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના જ સાંસદ રહી ચૂકેલા પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને પણ કોઇ મોટાં રાજયના રાજયપાલની જવાબદારી આપવામાં આવશે.
૧૯૮૯ થી ર૦૧૪ સુધી લોકસભા ચૂંટણીમાં સતત સાંસદ તરીકે ચૂંટાનાર સુમિત્રા મહાજને ર૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાનો ત્યારે ઇનકાર કર્યો હતો જયારે તેમનું નામ જાહેર કરવામાં સંગઠન દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો હતો. છેલ્લી આઠ ચૂંટણીમાં સુમિત્રા મહાકજનનું નામ ભાજપની પ્રથમ કે બીજી યાદીમાં જાહેર થઇ જતું હતું, પરંતુ આ વખતે ૭પ વર્ષની ઉંમરની ફોર્મ્યુલામાં આવી જવાથી ચૂંટણી પહેલાં એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે સુમિત્રા તાઇ ચૂંટણી લડશે કે નહીં.
સુમિત્રા મહાજને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, મને લાગે છે કે પક્ષ મારી ટિકિટ પર નિર્ણય લેવામાં ખચકાટ અનુભવી રહ્યો છે અને આ સ્થિતિમાં હું સ્વયં આ ચૂંટણી લડવા માગતી નથી.