News of Monday, 10th May 2021
આસામમાં ૧૦ દિવસમાં ચોથીવાર ભૂકંપના આંચકા
કોરોનાના વચ્ચે આસામમાં ભૂકંપનો ભય
નવી દિલ્હી, તા. ૧૦ : છેલ્લા ૧૦ દિવસમાં ચોથી વખત આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે નગાંવ ખાતે ધરતીમાં કંપન થયું હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપની જાણ થતા જ લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
આસામમાં છેલ્લા એક સપ્તાહથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા તો માત્ર ૨૪ કલાકમાં જ ધરતી ૧૦થી વધારે વખત ધ્રુજી હતી. નગાંવ ખાતે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા વધારે ન હોવાથી જાન-માલનું કોઈ ખાસ નુકસાન નથી નોંધાયું.
અગાઉ ૭ મેના રોજ આસામમાં ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના પહેલા ૩ અને ૫ મેના રોજ પણ આસામમાં ભૂકંપ આવ્યો હતો.
(7:44 pm IST)