ઘરના પ્રવેશદ્વાર ઉપર ટીંગાડેલું તોરણ હટાવોઃ યુ.એસ.ના ફિલાડેલ્ફિઆમાં રહેતા ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર અખિલેશ ત્રિપાઠીને મુરાનો હોમ ઓનર્સ એશોશિએશનની નોટીસ મળતાં કોર્ટના શરણેઃ તોરણ એ હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક છે. તેનાથી અન્ય રહેવાસીઓને કંઇ નુકશાન થતું હોય તો કોર્ટમાં પુરવાર કરોઃ પ્રોફેસર ત્રિપાઠીના એટર્નીની ધારદાર દલીલો
ફિલાડેલ્ફિઆઃ યુ.એસ.માં ફિલાડેલ્ફિઆ પેન્સિલ્વેનિઆ સ્થિત ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર અખિલેશ ત્રિપાઠીએ પોતાના નિવાસસ્થાનના પ્રવેશદ્વારના બારસાખ ઉપર તોરણ ટીંગાળતા તેઓને મુરાનો હોમઓનર્સ એશોશિએશનએ અટકાવ્યા છે. પરિણામે તેમને આ એશોશિએશન વિરૂધ્ધ કોર્ટમાં જવાની ફરજ પડી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રોફેસર ત્રિપાઠીના એટર્નીએ કોર્ટમાં કરેલી દલીલ મુજબ હિન્દુઓ દ્વારા પ્રવેશ દ્વારના બારસાખ ઉપર ટીંગાડાતા તોરણ એ સ્વાગતનું પ્રતિક છે તથા પરિવારજનો તેમજ આગંતુકો ઉપર લક્ષ્મીદેવીની કૃપા વરસાવનારૂ માનવામાં આવે છે તેથી પ્રોફેસર ત્રિપાઠીએ ટીંગાળેલુ તોરણ હટાવી લેવાની સુચના તેમની ધાર્મિક લાગણી દુભાવવા બરાબર છે તેમજ હાઉસીંગ એકટના ભંગ સમાન છે તેમણે ટીંગાડેલા તોરણથી અન્ય રહેવાસીઓને કોઇ નુકશાન થતું હોય તો તે કોર્ટમાં પૂરવાર કરવા એટર્નીએ હોમઓનર્સ એશોશિએશનને જણાવ્યું છે.