ઇટાવામાં ભયાનક રોડ દુર્ઘટના : ગાડી ખાઈમાં ખાબકતા 11 લોકોના મોત : 41 લોકો ઘાયલ
આગ્રાનો પરિવાર પુત્રજન્મની ખુશીમાં માનતા પુરી કરવા પરિવાર અને મિત્રો સાથે લખના સ્થિત કાલકા મંદિરે જતા હતા ત્યારે ચકરનગર રોડ પર દુર્ઘટના
ઉત્તરપ્રદેશના ઈટાવા શહેરમાં શનિવારે સાંજે એક ભયાનક રોડ દુર્ઘટના ઘટી છે. જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે અને 41 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી વિગત અનુસાર આગરા નિવાસી વિરેન્દ્રસિંહ બઘેલના ઘરે છ મહિના પહેલા પુત્રરત્ન અવતરણ થયું હતું.
પુત્રજન્મની ખુશીમાં માનતા પૂરી કરવા માટે વિરેન્દ્રસિંહ પોતાના પરિવાર અને મિત્રો સાથે લખના સ્થિત કાળકા મંદિરે જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જ ઇટાવાના ચકરનગર રોડ પર તેમની ગાડી ૨૫ ફૂટ ઊંડી ખાઇમાં પડી હતી અને ઘટના સ્થળેજ 11 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 41 લોકો ઘાયલ હોવાનું જાણવા મળેલ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને તાત્કાલિક કાર્યવાહી આગળ હાથ ધરી છે. હાલમાં પોલીસ મૃતકોની ઓળખ કરવાની કામગીરી અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાની કામગીરી કરી રહી હોવાનું જાણવા મળેલ છે.