દેશના ૪૦૦ જીલ્લાઓ કોરોનાથી કોરાઃ અત્યાર સુધી એક પણ કેસ નથી આવ્યો
નવી દિલ્હી,તા.૧૦: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર,દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૬ હજારથી પણ વધી ગઇ છે.
ત્યારે એક સારા સમાચારએ પણ છે કે, દેશમાં ૪૦૦ જીલ્લાઓ એવા છે, જ્યાં કોરોનાનો એક પણ સંક્રમિત નથી મળ્યો. જો સરકારી પ્રતિબંધોનો અમલ અહીં પણ બરાબર ચાલુ રખાય તો આ એક મોટી સફળતા ગણાશે.
દેશમાં અત્યાર સુધીમાં જાહેર થયેલા કુલ કેસોમાંથી ૮૦ ટકા કેસ ફકત ૬૨ જીલ્લામાંથી આવ્યા છે. આ જીલ્લાઓમાં લોકડાઉન કરીને વાયરસને ફેલાતો રોકાઇ રહ્યો છે. નીતી આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે, મોટા ભાગેએ શકય છે કે આ જીલ્લાઓમાં લોકડાઉન લંબાવવામાં આવશે.
એમ પણ કહી શકાય કે જો લોકો લોકડાઉનનું પાલન યોગ્ય રીતે કરે તો ભવિષ્યમાં આ ૪૦૦ જીલ્લાઓમાં એક પણ કેસ નહીં આવે. જે જગ્યાઓને હોટ સ્પોટ તરીકે નકકી કરાઇ છે. ત્યાં મોટા પાયે તપાસ અને ઘરે ઘરે જઇને સ્ક્રીનીંગ કરાઇ રહ્યું છે. જેથી વાયરસને ફેલાતો રોકી શકાય.