મુખ્ય સમાચાર
News of Tuesday, 10th April 2018

'આરક્ષણ હટાવો, દેશ બચાવો'ના સૂત્ર સાથે કથિત ભારત બંધનું સ્વયંભૂ એલાન

અમદાવાદ તા. ૧૦ :એટ્રોસિટી SC-ST એકટના મામલે સુપ્રિમ કોર્ટની ટિપ્પણીને લઇને ૨જી એપ્રિલે ભારત બંધનુ એલાન અપાયુ હતું. હવે ફરી એક વાર ૧૦મી એપ્રિલ એટલેઙ્ગ આજે આરક્ષણ હટાવો,દેશ બચાવોના સૂત્ર સાથે કથિત ભારત બંધનું એલાન અપાયુ છે.

સોશિયલ મિડીયામાં આ બંધને સફળ બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. બીજી તરફ, બંધના એલાનના પગલે શાળા-કોલેજો, બજારો બંધ રહેશે કે પછી આ માત્ર અફવા તે મામલે લોકો ભારે અસમંજસમાં છે. બંધને પગલે અનિચ્છિય ઘટનાઓ ન બને તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજય સરકારને સચેત રહેવા આદેશ કર્યો છે. સવારના સર્વત્ર શાંતિ પ્રવર્તે છે.

ઉલ્લેખનીય છે કે, ૨જી એપ્રિલે એટ્રોસિટી એકટમાં સુધારો કરવાના મામલે દલિતો રસ્તા પર ઉતર્યા હતાં. ગુજરાતમાં ય બંધ દરમિયાન ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતાં અને સરકારી મિલ્કતોને પણ ભારે નુકશા પહોંચ્યુ હતુ. તે વખતે રાજય સરકાર ઉંઘતી ઝડપાઇ હતી પરિણામે સરકાર પર ભારે માછલા ધોવાયા હતાં.

આ વખતે આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા જારી રહીને ગુજરાત સહિત રાજય સરકારોને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા તાકીદ કરી છે. આ ઉપરાંત જરૂર પડે તો ૧૪૪ કલમ લાગુ કરવા પણ આદેશ કર્યો છે. ગૃહ વિભાગે એવી પણ ચિમકી ઉચ્ચારી છેકે,જો બંધ દરમિયાન તોફાનો થશે તો પોલીસ અધિકારીને જવાબદાર ઠેરવવામાં આવશે. મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ કર્ફયુ રખાયો છે.

કથિત ભારત બંધને પગલે સવારથી લોકોમાં બંધ છે કે પછી અફવા તે અંગે દિવસભર ચર્ચાઓ ચાલી હતી.વાલીઓએ પણ મંગળવારે શાળાઓમાં બાળકોને મોકલવા કે પછી રજા રાખવી તે માટે પૃચ્છા કરી હતી.ઙ્ગ

આ તરફ,સોશિયલ મિડીયામાં આરક્ષણ હટાવો,દેશ બચાવાનો સૂત્ર સાથે બંધને સફળ બનાવવા અપીલ કરતી કોમેન્ટોની ભરમાર જામી હતી. સત્તાવાર રીતે કોઇ સંસ્થાએ બંધનું એલાન આપ્યુ નથી તેમ છતાંય પોલીસે અનિચ્છિય ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લીધા છે તેવો દાવો કર્યો હતો.

(7:43 pm IST)