સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે હિંસાનો માહોલ બનાવવા માંગે છે કેપ્ટ્ન અમરિંદરસિંહ: ભાજપ
મુખ્યપ્રધાન રાજ્યમાં ભાજપના અવાજને દબાવવા ગુંડાગીરીને પ્રોત્સાહન આપે છે
ફોટો hinsa
નવી દિલ્હી :ભાજપે પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ પર 14 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે રાજ્યમાં ભય અને હિંસા ફેલાવવાનો આરોપ મૂક્યો છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે બુધવારે મુખ્યમંત્રી અમરિંદરસિંહ પર આરોપ લગાવ્યો હતો. પંજાબમાં 8 મહાનગરપાલિકાઓ અને 109 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવવાની છે. જ્યારે તેના પરિણામ 17 ફેબ્રુઆરીના રોજ જાહેર થવાના છે.
જેમાં મોગા નગરપાલિકાની ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં બે લોકો માર્યા ગયા અને બે અન્ય ઘાયલ થયા હતા. તેમજ ફિરોઝપુરમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા પંજાબ ભાજપ અધ્યક્ષ અશ્વની શર્માના વાહન પર હુમલો કરવાની બીજી ઘટના બની હતી. જેની બાદ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે આ નિવેદન આપ્યું હતું.
પંજાબ ભાજપ અધ્યક્ષ અશ્વની શર્મા ફિરોઝપૂરમાં પાર્ટીના સ્થાનિક કાર્યકરોને મળવા ગયા હતા. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે કહ્યું કે શાસક કોંગ્રેસને લાગ્યું કે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતી શકશે નહીં. તેથી ગુંડારાજને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે પંજાબના મુખ્યપ્રધાન રાજ્યમાં ભાજપના અવાજને દબાવવા ગુંડાગીરીને પ્રોત્સાહન આપે છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે કહ્યું કે અમરિંદર સિંહે લોકશાહીના નિયમોને તોડી નાખ્યા છે અને નગરપાલિકાની ચૂંટણીઓ જીતવા આતંક અને હિંસાના શાસનની સ્થાપના કરવા માંગે છે.