મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ચીનમાં ફસાયેલા 16 ભારતીય નાવિકોની જલ્‍દી વતન વાપસી થશેઃ કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ આપ્‍યા ખુશખબર

નવી દિલ્હી: સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારત માટે સારી ખબર એ છે કે, ચીનમાં ફસાયેલા 16 ભારતીય નાવિકોની જલ્દી વતન વાપસી થવા જઈ રહી છે. મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વૉટરવેઝના મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી છે કે, પોર્ટમાં ફસાયેલા MV અનસ્તાસિયાના 16 ભારતીય નાવિક 14 ફેબ્રુઆરીએ પરત ફરશે. માંડવિયાએ કહ્યું કે, માલવાહક જહાજ એમવી અનસ્તાસિયા જાપાનથી આજે યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે અને 14 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે.

મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને માત્ર આ ખુશખબરી જ નથી આપી પરંતુ આ પ્રયત્ન માટે ચીન અને શિપિંગ કંપની MSCની સરાહના કરી છે. જણાવી દઈએ કે, આ અઠવાડિયે જ ચીનના અધિકારીઓએ માલવાહક જહાજ એમવી અનસ્તાસિયાના 16 ક્રૂ મેમ્બરને બદલવાની મંજૂરી આપી હતી. ચીનના પોર્ટ કાઓફિડીયન પર ગત વર્ષે સપ્ટેમ્બરથી આ જહાજ રોકી રાખવામાં આવ્યું છે.

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, તેમને આશા છે કે, ક્રૂ મેમ્બર બદલવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ચીનમાં આપણા હાઈકમિશન દ્વારા સતત વાતચીત બાદ ત્યાંના અધિકારીઓએ ક્રૂ પરિવર્તનની મંજૂરી આપી છે.

જો કે અગાઉ ચીનના બંદરે અનેક મહિનાઓથી અટવાયેલા ભારતીય નાવિકોને લઈને કોરોનાનું બહાનું આપવામાં આવી રહ્યું હતું. સરહદ પર તનાવને લઈને ચીન કહેતું હતું કે, ચીની પોર્ટ પર ઓસ્ટ્રેલિયન કોલસા ભરેલા જહાજ અટવાયા હોવા પાછળ બન્ને દેશો વચ્ચે બોર્ડર પર ચાલી રહેલા તનાવ સાથે કોઈ સબંધ નથી. ચીનનું કહેવું હતું કે, કોરોના મહામારીના કારણે જહાજ ફસાયા છે. I

જણાવી દઈએ તે. આ બે જહાજોમાં એક એમવી જગ આનંદ અને એમવી અનાસ્તાસિયા છે. જે કોરોના કાળમાં જિંગતાંગ બંદર પર ફસાયા છે. જહાજના ફસાયા હોવાના સમાચારથી ક્રૂ મેમ્બર સહિત કુલ 39 ભારતીયો હેબેઈના ઉત્તર પ્રાંતમાં જિંગટાંગ અને કૉફિડિયનના ચીની પોર્ટમાં પાણીમાં ફસાયા હતા. જો કે એમવી જગ આનંદની વતન વાપસી થઈ ચૂકી છે અને હવે માત્ર અનાસ્તાસિયાની ઘર વાપસીની રાહ જોવાઈ રહી છે. જેના પર 16 ક્રૂ મેમ્બર્સ છે.

(5:03 pm IST)