એલઆઈસીના આઈપીઓના ૧૦ ટકા ભાગ વિમાધારકો માટે સુરક્ષિત રહેશેઃ રાજ્યસભામાં મહત્વની જાહેરાત
નવી દિલ્હી, તા. ૧૦ :. દેશની સૌથી મોટી વિમા કંપની એલઆઈસીના આવી રહેલ આઈપીઓનો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે તેમ રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે જણાવ્યુ હતું.
તેમણે જણાવેલ કે આઈપીઓ પછી પણ એલઆઈસીનું મેનેજમેન્ટ અને માલિકી તમામ હક્કો સરકારના હાથોમાં જ રહેશે, પરિણામે વીમા પોલીસીના તમામ હિતો સુરક્ષીત રહે.
અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ એપ્રિલથી શરૂ થઈ રહેલ નવા નાણાકીય વર્ષમાં લોંચ કરી દેવાશે, આ માટે એલઆઈસી સંશોધન કાનૂનને નાણા વિધેયકમાં હિસ્સો બનાવાયો છે.
આ દરમિયાન નાણા રાજ્યમંત્રી શ્રી ઠાકુરે જણાવ્યુ હતુ કે ચાલુ નાણાકીય બીજા ભાગમાં (જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૦)ના આખરમાં સરકારી બેંકોનું ગ્રોસ એનપીએ ઘટીને ૬ લાખ કરોડ રહ્યુ છે. પોણા ત્રણ લાખનો ઘટાડો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ૬ માસમા જ ૧૨માંથી ૧૧ બેંક નફામાં આવી ગઈ છે અને ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન ૨ાા લાખ કરોડની રેકર્ડબ્રેક રીકવરી થઈ છે.