હિન્દૂ સમુદાયનો મતલબ ભાજપ નથી : બીજેપીનો વિરોધ કરવો એટલે હિન્દુનો વિરોધ નથી : સંઘના મહાસચિવ ભૈયાજી જોશીનું મોટું નિવેદન
રાજકીય લડાઈ ચાલુ રહેશે, પરંતુ આને હિંદુઓ સાથે જોડવું ના જોઇએ.: ભારતને હિંદુ સમુદાયથી અલગ કરીને ના જોઇ શકાય
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘનાં મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીનું કહેવું છે કે હિંદુ સમુદાયનો મતલબ ભારતીય જનતા પાર્ટી નથી. બીજેપીનો વિરોધ કરવો હિંદુઓનો વિરોધ કરવો નથી. તેમણે કહ્યું કે, 'રાજકીય લડાઈ ચાલુ રહેશે, પરંતુ આને હિંદુઓ સાથે જોડવું ના જોઇએ.' જોશી અહીં પણજીની નજીક આવેલા દોના પાવલામાં 'વિશ્વગુરૂ ભારત, આરએસએસનો દ્રષ્ટિકોણ' વિષય પર ભાષણ આપી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, 'જે પણ ભારતમાં કામ કરવા ઇચ્છે છે તેણે હિંદુઓ સાથે અને તેમના કલ્યાણ માટે કામ કરવું જોઇએ. પ્રાચીનકાળથી જ હિંદુઓએ ભારતનું ઉત્થાન અને પતન જોયું છે. ભારતને હિંદુ સમુદાયથી અલગ કરીને ના જોઇ શકાય. હિંદુ હંમેશા આ દેશનાં કેન્દ્રમાં રહ્યો છે.'
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘનાં 'ભારત માટે સંઘનાં વિચાર પર બુદ્ધિજીવીઓની સાથે સંવાદ અને એક વ્યાખ્યાન' કાર્યક્રમમાં ગોવા અને દમણનાં આર્ચબિશપ રીવ ફિલિપ નેરી ફેરારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ પણજીનાં દોના પાવલામાં આયોજિત કરવામાં આવ્યો હતો. જોશીએ કહ્યું કે, 'ભારત ક્યારેય ખત્મ નહીં થાય. આ એકલો એવો દેશ છે જેણે આટલું વધારે દમન જોયું છે, તેમ છતા તે આગળ જ વધ્યો છે. ભારત અનંત કાળ સુધી રહેશે. તેનો મતલબ એ છે કે હિંદુ સમુદાયનો ક્યારેય અંત નહીં થાય.'