મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

કાશ્મીરમાં મોટા હુમલા....

રક્તપાતનો દોર યથાવત રીતે જારી રહ્યો છે

જમ્મુ -પઠાણકોટ માર્ગ પર સુંજુવાનમાં આજે વહેલી પરોઢે ભારતીય સેનાના કેમ્પ પર ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરી દીધો હતો. જેના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. આજે વહેલી પરોઢે પાંચ વાગ્યાની આસપાસ ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલા હુમલા નીચે મુજબ છે.

પઠાણકોટ હુમલો (જાન્યુઆરી ૨૦૧૬)

જાન્યુઆરીમાં જૈશના છ ત્રાસવાદીઓએ પઠાણકોટ એરબેઝ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન છ જવાન સહિત થયા હતા. આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટપણે સપાટી ઉપર આવી હતી. આ હુમલાના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો અને પાકિસ્તાન સાથેના સંબંધો તીવ્ર બન્યા હતા.

પંપોરે હુમલો (જુન ૨૦૧૬)

જૂનના મહિનામાં પંપોર નજીક શ્રીનગર-જમ્મુ હાઈવેમાં સીઆરપીએફ કાફલાને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં આઠ જવાન શહીદ થયા હતા અને નવ જવાન ઘાયલ થયા હતા. લશ્કરે તોઇબાએ હુમલાની જવાબદારી લીધી હતી. બે આત્મઘાતી હુમલાખોરો દ્વારા આ હુમલો કરાયો હતો. પંપોરેમાં ત્રીજી જૂનના દિવસે બીએસએફના કાફલા ઉપર હુમલો કારયો હતો જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા. ફેબ્રુઆરી મહિનામાં પંપોરેમાં જ નેશનલ હાઈવે ઉપર સીઆરપીએફ કાફલાને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા. જૂનમાં પણ પંપોરેમાં હુમલો કરાયો હતો જેમાં મોટી ખુવારી થઇ હતી

કુંપવારા હુમલો ( જુલાઇ ૨૦૧૬)

જુલાઈ મહિનામાં ભારતીય સેનાએ એલઓસી નજીક ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. આખરે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારાયા હતા

પૂંચ ત્રાસવાદી હુમલો (સપ્ટેમ્બર ૨૦૧૬)

સપ્ટેમ્બરમાં થયેલા ત્રાસવાદી હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ, સેનાના બે જવાન અને એક નાગરિક, બે પોલીસ કર્મીના મોત થયા હતા. જવાબી કાર્યવાહીમાં તમામ ચાર ત્રાસવાદી માર્યા ગયા હતા. આ અથડામણ ત્રણ દિવસ સુધી ચાલી હતી. પઠાણકોટ એરબેઝની જેમ જ અથડામણ લાંબી ચાલી હતી. તોઇબાના આત્મઘાતી હુમલાખોરોએ આ હુમલો કર્યો હતો

પુલવામામાં હુમલો (સપ્ટેમ્બર ૨૦૧૬)

૯મી સપ્ટેમ્બરના દિવસે ત્રાસવાદીઓએ પુલવામામાં સીઆરપીએફ કેમ્પને ટાર્ગેટ બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં કોઇનું મોત થયું ન હતું પરંતુ ટૂંકા ગાળામાં જ ત્રાસવાદીઓનો આ ચોથો હુમલો હતો. આગસ્ટ મહિનામાં એક પોલીસ જવાનને તેમના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. આ અગાઉ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાન ઉપર હુમલો કરાયો હતો.

ખ્વાજાબાગ હુમલો (ઓગષ્ટ ૨૦૧૬)

સ્વતંત્રતા દિવસના બે દિવસ બાદ હિઝબુલ મુઝાહીદ્દીનના ત્રાસવાદીઓએ શ્રીનગર-બારામુલ્લા હાઈવે પાસે સેનાના કાફલા ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં આઠના મોત થયા હતા અને ૨૨ ઘાયલ થયા હતા. ૧૫મી ઓગસ્ટ બાદ ખ્વાજાબાદનો હુમલો ત્રીજો હુમલો રહ્યો હતો. સ્વતંત્રતા દિવસે પણ શ્રીનગરમાં હુમલો કરાયો હતો જેમાં સીઆરપીએફના કમાન્ડેન્ટ શહીદ થયા હતા. ત્રાસવાદીઓએ ૧૯મી ઓગસ્ટના દિવસે કુંપવારા જિલ્લામાં બીએસએફ કેમ્પ ઉપર હુમલો કર્યો હતો જેમાં ત્રણ ઘાયલ થયા હતા.

ઉરી સેક્ટર હુમલો (સપ્ટેમ્બર ૨૦૧૬)

જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લાના ઉરી સેક્ટરમાં સવારે સેનાના ઇન્ફેન્ટ્રી બટાલિયન કેમ્પ ઉપર ત્રાસવાદીઓએ હુમલો કરીને દેશભરમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. આ હુમલામાં ૧૭ જવાનો શહીદ થયા છે. અનેક જવાનો ઘાયલ થયા છે.સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, આત્મઘાતી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ અથડામણમાં તમામ ચારેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

બારામુલ્લા હુમલો (ઓક્ટોબર ૨૦૧૬)

જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા ત્રીજી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આમાં કોઇ ખુવારી થઇ ન હતી. આ હુમલા બાદ સેનાએ વ્યાપક ઓપરેશન હાથ ધર્યુ હતુ.

નાગરોટા હુમલો (નવેમ્બર ૨૦૧૬)

જમ્મુ કાશ્મીરના નાગરોટા ખાતે ૨૯મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. આ ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ આમાં વ્યાપક ખુવારી થઇ હતી. આ હુમલામાં જવાનો સહિત ૧૦ લોકોના મોત થયા હતા અને અન્ય અનેક ઘાયલ થયા હતા.

અમરનાથ યાત્રા હુમલો (જુલાઇ ૨૦૧૭)

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ૧૧મી જુલાઇ ૨૦૧૭ના દિવસે અમરનાથ શ્રદ્ધાળુઓને લઇને જતી બસને ટાર્ગેટ બનાવીને ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. હુમલાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.

જમ્મુ-પઠાણકોટ માર્ગ પર આર્મી કેમ્પ પર હુમલો (ફેબ્રુઆરી ૨૦૧૮)

જમ્મુ -પઠાણકોટ માર્ગ પર સુંજુવાનમાં આજે વહેલી પરોઢે ભારતીય સેનાના કેમ્પ પર ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરી દીધો હતો. જેના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ પણ ઓપરેશન મોટા પાયે હાથ ધર્યુ હતુ. આ હુમલામાં એક આર્મી ઓફિસર શહીદ થયા હતા અને છથી વધુ ઘાયલ થયા હતા.

(7:10 pm IST)