મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

ખતરનાક મિશનો ઉપર તૈનાત જવાનોની બનશે 'ડીએનએ બેન્ક'

વિમાન દુર્ઘટના, બોમ્બ ધમાકા જેવા 'જીવલેણ' અકસ્માતોમાં ભોગ બનનારની જલ્દી ઓળખાણ બનશે શકયઃ મહત્વપૂર્ણ પ્રોજેકટ સંદર્ભે ભારતીય સેનાએ કામગીરી પૂરજોશમાં ધપાવી આગળઃ ૭૦૦૦ સુરક્ષાકર્મીઓના સેમ્પલ લેવાયા

નવી દિલ્હી, તા.૧૦: દેશમાં વિવિધ સરહદ અને પળવારમાં જ જીવ ગુમાવી બેસવાનો વખત આવી ચડે તેવા ખતરનાક મિશન માટે તૈનાત સુરક્ષા જવાનોના સેમ્પલ એકત્રિત કરી 'ડીએનએ બેન્ક'બનાવવાની કામગીરી સેના દ્વારા પૂરજોમાં આગળ ધપી  રહી છે...ડીએનએ બેન્કના માધ્યમથી કોઇ અકસ્માતનો ભોગ બનેલા જવાનોની ઓળખવિધિમાં થતી કસરત ઘટી જવાની શકયતા સેવાઇ રહી છે.

દેશવાસીઓની સુરક્ષા કાજે ફરજ બજાવી રહેલા તમામ સુરક્ષા જવાનોને કારણે જ સૌ પોત-પોતાના ઘરોમાં શાંતિનો અહેસાસ કરી રહયા  છે...ભારતમાતાના રક્ષણ માટે જીવના જોખમે તૈનાત જવાનોને સો-સો સલામ કરીએ તો પણ ઓછુ ગણાય.દિલમાં વતનપ્રેમ રાખી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા જવાનોને જયારે કોઇ અંતરિયાળ અકસ્માત નડે કે વિમાન દુર્ઘટના કે અન્ય અકસ્માત ટાણે જીવ ગુમાવવાનો વખત આવે ત્યારે ઘણી વખત કપરી પરિસ્થિતિમાં ભોગ બનેલાની ઓળખ શકય બનતી નથી...જીવલેણ અકસ્માતમાં કોનો ભોગ લેવાયો છે? તે જાણવા તપાસ ટીમને લાંબી કસરત કરવી પડતી હોય છે, પરંતુ હવે ગમે તેવા સંજોગોમાં પણ ઓળખ બાબતે લાંબુ થવુ ન પફે તે માટે ભારતીય સેનાએ સચોટ ઉપાય શોધી કાઢયો છે.

જેમાં જાણવા મળ્યાનુસાર ભારતીય સેના દ્વારા પૈરાટ્રપર, એનએસજી, સેનાના પાયલોટ, પનડુબ્બી ટીમ, નોૈસેના સહિત દેશની વિવિધ સરહદો તથા ખતરનાક મિશનો ઉપર તૈનાત રહેતા ૭૦૦૦ સુરક્ષા જવાનોના ડીએનએ સેમ્પલ લઇ જરૂરી તપાસ પૂર્ણ કરી પુણે સ્થિત આર્મ્ડ ફોર્સેજ મેડિકલ કોલેજના ડીએનએ પ્રોફાઇલિંગ સેન્ટર ખાતે જમા કરી દેવાયા છે.

દરમિયાન સેનાનું માનવુ છે કે, ઘણી વખત વિમાન દુર્ઘટના, બોમ્બ ધમાકા, હેલિકોપ્ટર દુર્ઘટના જેવા કોઇ ગંભીર અકસ્માત સર્જાયા બાદ કોઇ જવાનનો જીવ જાય ત્યારે ઉદભવતી કપરી પરિસ્થિતિઓમાં ખરેખર કોનો જીવ લેવાયો છે?તે જાણવુ ઘણુ મુશ્શેલરૂપ બની જતુ હતુ, પરંતુ હવે ડીએનએ બેન્ક તૈયાર થયા બાદ ઓળખવિધિ કરવી એકદમ સરળ બની જશે.

કહેવાય છે કે, ગયા વર્ષે ૨૩ માર્ચે દુર્ઘટનાગ્રસ્ત થયેલ સુખોઇ ૩૦ એમકેઆઇમાં  જીવ ગુમાવનાર તમામના મૃતદેહો એટલા બધા ખરાબ હાલતમાં હતા કે, ઓળખ કરવી બહુ અઘરી બની ગઇ હતી,પણ ડીએનએ થકી કામગીરી સાવ સરળ બની જવા પામી હતી.એવી જ રીતે જૂલાઇ ૨૦૧૭માં પણ મૈક ૨ હેલિકોપ્ટરની દુર્ઘટના વખતેય સૈનિકોની ઓળખમાં ડીએનએ કામ આવ્યા હતા.

આ અંગે વધુમાં જાણવાનુસાર ગમે તેવી કપરી પરિસ્થિતિ વખતે પણ સેનાને જવાનોની ઓળખવિધિ માટે કામગીરી આસાનરૂપ રહે તે માટે તમામ સુરક્ષા કર્મીઓના ડીએનઅ નમૂનાને બાર કોડ સાથે પણ જોડવામાં આવશે.

આ અભિયાન સંદર્ભે સેના દ્વારા અત્યાર સુધીમાં ૧૭૦ મેડિકલ અધિકારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.(૨૧.૨૮)

 ૧૧,૩૦,૦૦૦ જવાનોના લેવાશે સેમ્પલ... નમૂનાને બારકોડ સાથે પણ જોડાશે

નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા માં ભોમની રક્ષા કાજે ગમે તેવા કપરા સંજોગોમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવાઇ રહી છે ત્યારે દેશવાસી તરીકે જેટલા ગુણગાન ગાઇએ એટલા ઓછા જ છે...પરંતુ જયારે કોઇ ગંભીર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સૈનિકોની ઓળખમાં સરળતા રહે તેના ભાગરૂપે સેના દ્વારા ખતરનાક મિશનમાં તૈનાત સેનિકોના ડીએનએ લેવા માટે કામગીરી પૂરજોશમાં આગળ ધપવા લાગી છે.જેમાં કુલ ૧૧,૩૦,૦૦૦ જવાનોના સેમ્પલ લેવામાં આવનાર છે.

અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધુ ખતરનાક જગ્યા ઉપર ફરજ બજાવી રહેલા ૭,૦૦૦ સૈનિકોના સેમ્પલ લેવાઇ ચૂકયા છે.

જો કે, અત્યાર સુધી શરીરના અવશેષોની સાથે હાથ લાગેલા કપડા અને અન્ય ચીજ-વસ્તુઓ થકી ઓળખ કરાતી હતી...જેમાં ઘણી વખત સરળતા રહેતી હતી, પણ કપરી પરિસ્થિતિ વખતે ઓળખ મેળવવી અઘરી બની જતી હતી ત્યારે હવે ડીએનએ બેન્ક મારફત કામગીરી ઘણી સહેલી બની જવાનો સેનાને પુરેપુરો વિશ્વાસ છે.

(3:44 pm IST)