મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

અમને મેનેજમેન્ટ દ્વારા બેંકના શેર પરાણે પધરાવવામાં આવે છેઃ અલ્હાબાદ બેંકના કર્મચારીઓનો આરોપઃ મામલો રિઝર્વ બેંક-સેબી અને પીએમઓ સુધી પહોંચ્યો

બેંકના શેર વેચાણની પ્રક્રિયામાં કર્મચારીઓને દબાવીને શેર પકડાવી દેવામાં આવે છેઃ કર્મચારીઓ ભારે પ્રેસરમાં: સીઇઓથી માંડીને સ્વીપર સુધીનાને બેંક પકડાવી રહી છે પોતાના શેરઃ પરાણે રોકાણ કરવુ પડે તેવી સ્થિતિ

નવી દિલ્હી તા.૧૦ : અલ્હાબાદ બેંકના મેનેજમેન્ટે સફાઇ કર્મચારીથી માંડીને ચીફ એકઝી. ઓફિસર સુધીના તેના તમામ ર૪૧પપ કર્મચારીઓ માટે એક અલોકપ્રિય એવો આદેશ આપ્યો છે જેમાં કર્મચારીઓને શેર વેચાણમાં ભાગ લેવાનો રહેશે. બેંક દ્વારા પોતાના કર્મચારીઓ થકી પ૦ મીલીયન શેર વેચવાની યોજના બનાવી રહી છે. જેમાં ગ્રેડ આધારીત દરેક કર્મચારી કેટલા શેર ખરીદી શકે છે તે બાબત નિર્ધારીત કરવામાં આવી છે. આવા શેર વેચાણની પ્રક્રિયામાં મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં કે અપીલ કરવામાં આવે એ ખોટુ નથી પરંતુ આ કેસમાં કર્મચારીઓનો આરોપ છે કે તેઓને દબાવવામાં આવી રહ્યા છે. એક ડઝનથી વધુ અધિકારીઓએ કહ્યુ છે કે, જો અમે શેર ખરીદવામાં નિષ્ફળ જશુ તો અમારા ઉપર હથોડો વિંઝાશે.

આવા કેટલાક કર્મચારીઓએ રિઝર્વ બેંક અને સેબી સમક્ષ ફરિયાદ પણ કરી છે. કેટલાકે વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પણ હૈયાવરાળ ઠાલવી દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.

બેંકના જણાવ્યા પ્રમાણે અમે દરેક કર્મચારીને સબસ્ક્રાઇબ થવા અપીલ કરી છે. આ એક લાઇફટાઇમની તક છે. બેંકના વિકાસમાં સહભાગી થવાની કર્મચારીઓને ઉમદા તક છે. અમે દરેક કર્મચારીઓને આ મામલામાં ભાગ લેવા કહ્યુ છે તેમ ઇડી એન.કે.શાહુએ કહ્યુ છે. તેમણે કહ્યુ છે કે, અમને જે પ્રતિભાવ મળ્યો છે તે ઉત્સાહજનક છે. જયારે તેમને પુછાયુ કે શું મેનેજમેન્ટ સંપુર્ણ સબસ્ક્રીપ્શનની આશા રાખે છે તો તેઓએ કહ્યુ હતુ કે, ૭પ થી ૮૦ ટકા સબસ્ક્રીપ્શન મળશે તો પણ સફળતા ગણાશે.

બેંક હાલ રૂ.પ૩.૯૪ પ્રતિ શેર વેચી રહી છે. ૩૧ જાન્યુઆરીએ ઇસ્યુ ઓપન થયો છે અને આ શેર રૂ.૬૬.૬પના બંધ થયો હતો તે દિવસે ગુરૂવારે આ શેર રૂ.પ૯.રપના ભાવે બંધ થયો હતો. ઇએસપીએસ ૧૩મી ફેબ્રુઆરીએ બંધ થશે. જેમને આ શેર મળશે તેમના માટે એક વર્ષનો લોક ઇન પીરીયડ છે. જયાં સુધી આ લોક ઇન પીરીયડ રહેશે ત્યાં સુધી આ શેર વેચી નહી શકાય.

બેંકે પોતાના એમડી અને સીઇઓને ૬૬૦૦ શેરની ઓફર કરી છે. જયારે બે ડાયરેકટરોને ૬પ૦૦-૬પ૦૦ શેર અપાશે. સ્વીપર અને અડધો પગાર મેળવતા કર્મચારીઓને અનુક્રમે ૩૦૦ અને ર૦૦ શેર આપવામાં આવશે. બેંક પાસે સ્કેલ વનના ૭૦પ૭ ઓફિસરો છે અને તેઓને દરેકને ર૩પ૦ એટલે કે ૧૬.પ૮ મીલીયન શેર ફાળવવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે આ બધાયે રૂ.૧ લાખ ર૭ હજારના શેર દરેકે લેવા પડશે. સ્કેલ-૩ના ઓફિસરોને ૯.૮પ મીલીયન શેર લેવા પડશે અને તેઓએ રૂ.ર લાખ ૧૬ હજાર રોકવા પડશે. બેંેંક પાસે આવા ર૪૬૪ ઓફિસરો છે. બેંક પાસે ૬૩પ૧ કલાર્ક છે તેમાંથી દરેકને ૧રપ૦ શેર ઓફર કરવામાં આવ્યા છે.  યુનિયનોએ આ મામલાનો વિરોધ કર્યો છે. આ શેરનું વેચાણ સંપુર્ણ કરી દેવા બેંકના ઓફિસરો ઉપર ભારે પ્રેસર છે.(૩.૩)

(11:50 am IST)