હોશિયાર વિદ્યાર્થીઓને દર મહિને મળશે ૮૦,૦૦૦ રૂપિયાની સ્કોલરશીપ
દેશની પ્રતિભાને વિદેશ જતી રોકવા મોદી સરકારની મોટી પહેલ
નવી દિલ્હી તા. ૧૦ :.. દેશની પ્રતિભાને વિદેશ જતી રોકવા માટે કેન્દ્રીય બજેટમાં હાયર સ્ટડીઝ ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓ માટે પ્રાઇમ મીનીસ્ટર રિસર્ચ ફેલોશિપ (PMRF) ને મંજૂર કરવામાં આવી છે. IIT, IISER અને NIT જેવા હાયર સ્ટડીઝ ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓ માટે દેશની અત્યાર સુધીની આ સૌથી મોટી સ્કોલરશીપ છે. ર૦૧૮-'૧૯ ના શૈક્ષણીક વર્ષથી અમલમાં આવનારી આ યોજના માટે ઓછામાં ઓછા ૮.પ કયુમ્યુલેટિવ ગ્રેડ પોઇન્ટ એવરેજ હાંસલ કરવા જરૂરી છે.
આ ફેલોશિપ હેઠળ પસંદ કરવામાં આવેલા સ્કોલર્સ માટે ૭૦ થી ૮૦ હજાર રૂપિયાની મન્થ્લી સ્કોલરશીપ અને બે લાખ રૂપિયા સુધીની વાર્ષિક રિસર્ચ ગ્રાન્ટ આપવામાં આવશે. આ યોજના માટે કેન્દ્ર સરકારે ત્રણ વર્ષની મુદત માટે ૧૬પ૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની મંજૂરી આપી છે.
રિસર્ચ કરવા ઇચ્છતા એન્જિનીયરીંગ ગ્રેજયુએટસને વધુ એક લાભ આપવામાં આવ્યો છે. ફેલોશિપ માટે પસંદ કરવામાં આવેલા IIT, IISER, IIIT અને NITના BTech ગ્રેજયુએટસ IIT, IISc- બેન્ગલોરથી સીધું PhD પણ કરી શકે છે. આ યોજના હેઠળ વર્ષે ૧૦૦૦ સ્કોલરશીપ ઉપરાંત સરકાર IIT અને માં IISC રિસર્ચ સાથે જોડાયેલી સુવિધાઓને અપગ્રેડ કરવા વિશે પણ વિચારી રહી છે.