મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

ટેકસ ચોરો પર સરકારની ધોંસઃ વસૂલ્યા રૂ. ૨૬,૫૦૦ કરોડ

૩૫ લાખ લોકો એવા મળ્યા જે નથી ભરતા ટેકસઃ ૧.૨૫ કરોડ નવા કરદાતાઓને જોડવા કવાયત

નવી દિલ્હી તા. ૧૦ : સરકાર દ્વારા ચલાવાયેલ ટેકસ ઝુંબેશ અંતર્ગત એવા લોકો પર ખાસ નજર રાખવામાં આવી હતી જેમણે મોટી રકમની લેણદેણ તો કરી છે પરંતુ યોગ્ય કર ભર્યો નથી. આવા કરચોરો વિરુદ્ઘ અભિયાન ચલાવી સરકારે વધારાના ૧.૭ કરોડ રુપિયા તિજોરીમાં એકઠા કર્યા છે. તો ડિસેમ્બર સુધીનું રૂ. ૨૬,૫૦૦ કરોડની વસૂલીનું લક્ષ્ય પણ પૂર્ણ કર્યું છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ શુક્રવારે સંસદમાં એક લેખિત જવાબમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 'પાછલા થોડા વર્ષોથી ટેકસ વિભાગ જેઓ પૂરતો ટેકસ ચૂકવતા નથી અને ચોરી કરે છે તેના પર નજર રાખી રહ્યું છે.'

'આ માટે આંતરીક એજન્સીઓ અને બહારની એજન્સીઓ દ્વારા પ્રાપ્ત અહેવાલોના આધારે તે વ્યકિતઓ દ્વારા કરવામાં આવેલ લેણદેણ, ટીડીએસ અને ટીસીએસ જેવા જુદા જુદા ડેટાને એકબીજા સાથે મેળવીને લિસ્ટ તૈયાર કરાયું હતું.'

તેમણે કહ્યું કે, 'પાન કાર્ડને ૨ લાખથી વધુની લેણદેણ પર ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જેમાં સંપત્તિ, શેર, બોન્ડ, વીમો તેમજ વિદેશ પ્રવાસ સુધીના તમામ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. આ બધા દ્વારા લોકોના ખર્ચા વિશે ઘણો ડેટા મળ્યો હતો અને તેને એનાલાઇઝ કરીને જોયા બાદ ખબર પડી કે ૩૫ લાખ લોકો એવા છે ટેકસ ભરતા જ નથી જયારે તેમની આવક ટેકસેબલ છે.'

સરકારનો ઉદ્દેશ ૧.૨૫ કરોડ નવા કરદાતાઓને ટેકસ રીજીમમાં જોડવાનો છે. નાણાં પ્રધાને કહ્યું કે, 'જે લોકો પણ રિટર્ન ફાઇન નથી કરતા તેમની ઓળખ કરીને તેમના વિરુદ્ઘ નિયમાનુસાર કાર્યવાહી થઈ રહી છે. પહેલા તેમને મેસેજ અને ઈ-મેઇલ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને જો તેનો જવાબ ન મળે તો તેમના વિરુદ્ઘ કાયદેસરના પગલા ભરવામાં આવી રહ્યા છે.'

(9:50 am IST)