હું ચન્ની જી પાસેથી રિપોર્ટ કેવી રીતે માંગી શકું? મારો કોઈ બંધારણીય દરજ્જો નથી : પીએમની સુરક્ષાના મુદ્દા પર રાજનીતિ ન થવી જોઈએ - પ્રિયંકા ગાંધી વાડ્રા
નવી દિલ્હી : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં ખામી અંગે તપાસ ચાલી રહી છે, સત્ય બહાર આવશે.
ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ એ વાતને નકારી કાઢી હતી કે તેમને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેમને સીએમ નહીં, પરંતુ સહયોગી તરીકે ફોન પર વાત કરી. પ્રિયંકા ગાંધીએ કહ્યું- હું પીએમને લઈને ચિંતિત હતી કે શું અમારી સરકારમાં કોઈ ભૂલ થઈ ગઈ છે. મેં ચન્નીજીને ફોન કર્યો કે બધું બરાબર છે? હું ચન્ની જી પાસેથી રિપોર્ટ કેવી રીતે માંગી શકું? મારો કોઈ બંધારણીય દરજ્જો નથી.
તેમણે કહ્યું કે પીએમની સુરક્ષાના મુદ્દા પર રાજનીતિ ન થવી જોઈએ. ન તો ભાજપે કરવી જોઈએ અને ન તો આપણી પાર્ટીએ કરવી જોઈએ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમણે જોયું છે કે જો સુરક્ષા સાથે રાજનીતિકરણ કરવામાં આવે તો શું થાય છે.