HRD સેક્રેટરીની ઘણા વિદ્યાર્થીઓ સાથે મિટિંગ
જેએનયુ વિવાદમાં સરકારની મધ્યસ્થી
નવી દિલ્હી, તા.૧૦ : હોસ્ટેલ ફીમાં વધારો અન્ય મુદ્દાઓને લઇને જેએનયુના વિદ્યાર્થી વાઇસ ચાન્સલર એમ જગદીશકુમારને દૂર કરવાની માંગ ઉપર અડી ગયા છે. બીજી બાજુ સરકારે દરમિયાનગીરી કરતા આજે જેએનયુ વહીવટીતંત્રની સાથે તથા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. અલગ અલગ બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. માનવ સંશાધન મંત્રાલયના સચિવ અમિત ખરેને જેએનયુ વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, ૧૩મી જાન્યુઆરીથી યુનિવર્સિટીની કક્ષાઓને નિયમિતરીતે શરૂ કરવામાં આવનાર છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સચિવ અમિત ખરેએ સૌથી પહેલા જેએનયુ વાઇસ ચાન્સલર સહિત યુનિવર્સિટી વહીવટી તંત્રની ટીમના પાંચ સભ્યોની ટીમ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓએ જેએનયુએસયુ અધ્યક્ષ આઈશી ઘોષ સાથે પણ વાતચીત કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ આવેલા જેએનયુના વિદ્યાર્થીઓની સાથે પણ વાતચીત કરી હતી. જેએનયુ વાઇસ ચાન્સલર જગદીશકુમારે કહ્યું હતું કે, હોસ્ટેલ ચાર્જ સાથે સંબંધિત માનવ સંશાધન વિકાસ મંત્રાલય તરફથી રજૂઆત કરાઈ ચુકી છે.