મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

અંકુશ રેખા ઉપર કેટલાક ટ્રેનિંગ કેમ્પ હજુ પણ જારી

કટ્ટરપંથી યુવાનોની ભરતી કરવાના પ્રયાસમાં : ભારતની પાકિસ્તાની ક્ષેત્રોમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક છતાં પાકિસ્તાની આતંકવાદી ફરીથી સક્રિય થયા

શ્રીનગર,તા. ૧૦: ભારતમાં આતંક મચાવવા માટે અંકુશરેખા પેલે પાર અનેક ત્રાસવાદી કેમ્પો હજુ ચાલી રહ્યા છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને બે વખત જોરદાર કાર્યવાહી  કરવામાં આવી હોવા છતાં પાકિસ્તાની ત્રાસવાદીઓ ફરી સક્રિય થયા છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ  હચમચી ઉઠેલા પાકિસ્તાને ભારતને નુકસાન કરવાના બનતા તમામ પ્રયાસો જારી રાખ્યા છે. આના ભાગરૂપે તેના પ્રયાસો હજુ જારી રહ્યા છે. ભારતે પહેલા સર્જિકલ સ્ટ્રાઇક અને ત્યારબાદ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ભારે નુકસાન કર્યુ હતુ. જો કે થોડાક સમય સુધી તમામ ગતિવિધી બંધ રહ્યા બાદ તેની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવાઇ છે.  પ્રાપ્ત માહિતી  મુજબ હાલમાં એલઓસી પાર સાતથી વધુ ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ચુકી છે. મોટી સંખ્યામાં કુખ્યાત ત્રાસવાદી ઠાર મરાયા છે પરંતુ ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવા કરવા માટે તૈયાર છે.આંકડા દર્શાવે છે   ૨૦૧૭માં દુનિયાભરના જુદા જુદા ક્ષેત્રોમાંથી ૪૫૦થી વધુ યુવાનોની ભરતી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં પણ ભરતીની પ્રક્રિયા ગુપ્ત રીતે ચાલી રહી હતી. કેમ્પ માટે પસંદગી કરવામાં આવેલા યુવાનોને  ભારત વિરોધી ઓપરેશન માટે તાલીમ આપવામાં આવી રહી છે.  આ યુવાનોને હથિયાર ચલાવવા અને બ્લાસ્ટ કરવાની તાલીમ અપાઈ રહી છે.  લશ્કરના ૨૦ વર્ષીય ત્રાસવાદી જ બુલ્લાહ ઉર્ફે હમઝાની એનઆઈએ દ્વારા પુછપરછ કરવામાં આવી છે. હાલમાં  તેની કુપવારામાં ધરપકડ કરાઈ હતી. પોકમાં મુઝફ્ફરાબાદમાં સાત ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે. હાલમાં ઘુષણખોરીના પ્રયાસમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી ફુંકાયા છે.    ત્રાસવાદી ઘુસણખોરીના કેટલાક પ્રયાસ કરી ચુક્યા છે. જો કે સેના અને સુરક્ષા દળો દ્વારા ખુબ આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જેના કારણે ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી. વર્ષ ૨૦૧૯મા ૧૬૦થી વધારે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સંરક્ષણ પ્રવક્તાનું કહેવું છે કે, આ વર્ષે ઘુસણખોરીના શ્રેણીબદ્ધ    પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. ત્રાસવાદીઓ સતત હુમલા કરવાના ઇરાદા સાથે ઘુસણખોરી કરી રહ્યા છે. સેનાના અધિકારીઓના કહેવા મુજબ પાકિસ્તાની સેના યુદ્ધ વિરામનો ભંગ કરીને હજુ પણ ગોળીબાર કરી શકે છે. આનો મુખ્ય ઇરાદો અંકુશરેખા મારફતે આતંકવાદીઓને ઘુસાડવાનો રહ્યો છે. કાશ્મીરમાં જ નહીં બલ્કે દેશના અન્ય ભાગોમાં પણ હુમલા કરવાની યોજના ત્રાસવાદીઓ બનાવી રહ્યા છે. દિલ્હીમાં ત્રણ ત્રાસવાદીઓની ગુરૂવારના દિવસે ધરપકડ  કરવામાં આવી હતી.

(3:46 pm IST)