કેજરીવાલે 'ગુગલી' ફેંકી : ભાજપમાં ત્રેવડ હોય તો સીએમનું નામ જાહેર કરે
નવી દિલ્હી : ૨૦૧૫ની ચૂંટણીની જેમ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ભાજપને જાળમાં ફસાવવા માટે ઓબામા સ્ટાઇલમાં ટ્વીટ કરીને ભાજપને તેના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનો પડકાર ફેંકયો છે. આ ટ્વીટ પાછળ ૨૦૧૨માં અમેરિકામાં બરાક ઓબામાએ રીરન કેમ્પેનમાં જે રણનીતિ અપનાવી હતી તેનાથી પ્રેરિત છે. કોમ્યુનિકેશન સાયન્ટીસ્ટ આ પ્રકારની ઓનલાઇન પોલિટિકલ સ્ટ્રેટેજીને સોશિયલ મીડિયાના પરફોર્મેટીવ પાવર તરીકે વર્ગીકૃત કરે છે. આમ કેજરીવાલે પણ દિલ્હીમાં બરાબર લાગ જોઇને દ્યા કર્યો છે કારણ કે દિલ્હી ભાજપ એકમમાં નેતાગીરીના મામલે શૂન્યાવકાશ પ્રવર્તે છે.
ભાજપના રાજય પ્રમુખ મનોજ તિવારીને શીલા દીક્ષિતની વગને પડકારવા માટે નિયુકત કરવામાં આવ્યા હતા. પક્ષની અંદર જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તે જોતાં ભાજપ મનોજ તિવારીને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની શકયતા અંગે વિચારણા કરી રહી છે પરંતુ વિજય ગોયલ જેવા વિચારકો અને ડો.હર્ષવર્ધન જેવા કેન્દ્રીય પ્રધાન જેવા જૂના જોગીઓના નામો પણ ગણતરીમાં લેવા પડે તેમ છે.