૨૦૧૮ પહેલાના કેસમાં પણ આ જોગવાઇ લાગુ પડે છેઃ સુપ્રિમ કોર્ટ
ચેક બાઉન્સના કેસ જમા કરાવવી પડશે ૨૦ ટકા રકમ
નવી દિલ્હી, તા.૧૦: સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે ચેક બાઉન્સ થવાના કેસમાં દંડ થયા પછી અપિલ કરવા માટે ચેકની રકમના ૨૦ ટકા અદાલતમાં જમા કરાવવા જરૂરી છે. રકમ જમા કરાવવાની આ જોગવાઇ ૨૦૧૮ પહેલાના કેસોમાં પણ લાગુ થશે. એમાં એવું નહી કહી શકાય કે આ કેસ સુધારો થયો તે પહેલાનો છે.
૨૦૧૮માં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૪૮માં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેના હેઠળ ચેક બાઉન્સના એવા કેસ જેમાં આરોપીને દંડ થઇ ચુકયો હોય તેમાં જો અપીલ કરવી હોય તો તેના માટે ચેકની રકમના ૨૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવાનું ફરજીયાત કરવામાં આવ્યુ હતું. જસ્ટીસ અશોકકુમાર ભૂષણની બેંચે કહ્યું કે એ સ્પષ્ટ છે કે આ કલમ બધા કેસોમાં લાગુ થશે. જો તેને લાગુ નહીં કરાય તો તેનાથી કાયદામાં ફેરફારનો ઉદેશ જ નિષ્ફળ જશે. આ કેસ લગભગ ૩૬ કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થવા સાથે સંકળાયેલો હતો જેમાં એક કંપનીના પાર્ટનરને રીટાયર થવાથી ચુકવાયો હતો. પાર્ટનર પંચકુલા મેજીસ્ટ્રેટ અદાલતમાં કેસ કર્યો હતો જેમાં કોર્ટે કંપનીના ડાયરેકટરોને બે વર્ષની સજા સાથે ચેકમાં લખાયેલ કુલ રકમ એક ટકા વ્યાજ સાથે આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાને કંપનીએ અપીલીય અદાલતમાં પડકાર્યો હતો સાથે જ કેદની સજા રદ કરવાની માંગણી કરી હતી.