ઓશોએ મને ઈર્ષા - તડપ- બેચેની જેવા મેલાછમ રંગોમાંથી મુકત કરી
પ્રેમ સંબંધોની ઉંડી પીડામાંથી પસાર થઈ રહી હતી ત્યારે
આઠ વર્ષ પહેલા જ્યારે હું ઓશો સાહિત્યના સંપર્કમાં આવી ત્યારે મારી મનોસ્થિતી એવી નહોતી કે હું તેમને બરાબર સમજી શકું. પણ હમણા જ્યારે હું પ્રેમસંબંધોની ઉંડી પીડામાંથી પસાર થઇ અને ઇર્ષા, તડપ, બેચેની જેવા કેટલાય મેલાછમ રંગોમાં ઘેરાયેલી હતી એવા સમયે મેં ઓશોનું એક પ્રવચન ''અનકંડીશનલ લવ એન્ડ જેલસી'' સાંભળ્યુ તો એક ગહન શાંતિ હૃદયમાં છવાતી ગઇ. મને એમ લાગ્યુકે આ જ સત્ય છે, સત્ય આ જ છે.
ઓશો વ્યકિતને પરનિર્ભરતાથી સંપુર્ણપણે મુકત કરે છે અને આ સ્વનિર્ભરતા તેેઓ ફકત સંબંધો પુરતી જ નથી આપતા, આધ્યાત્મિક માર્ગ પર પણ તેઓ આપણને પોતાનો પ્રકાશ પોતાને જ બનવાની પ્રેરણા આપે છે. ઓશોને વાંચતી વખતે મને એવુ નથી લાગતુ કે હું મારી શાંતિ માટે તેમના પર નિર્ભર થઇ રહી છું, તેઓ મને ફકત પડકાર આપે છે કે કેટલી બધી શકયતાઓ છે અને હું ખાલી ખાલી અશાંત બની રહી છું પછી જે શાંતિ ઉત્પન્ન થાય છે તે મારી અંદરથી આવે છે. ઓશો આપણને આપણી જ માહિતી આપે છે.
મધુ સપ્રે (મોડલ)